બોટાદથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરાહવા જણાવે છે કે, આજ રોજ બોટાદ જિલ્લામાં ૧૦ ગામદીઠ એક મોબાઇલ પશુવાન યોજનાનું લોકાર્પણ પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી એ જણાવ્યું હતું કે, પશુઓની વિનામૂલ્યે સારવાર થાય, કુત્રિમ બીજદાન મેળવી સારી ઓલાદના પશુઓ મળી રહે તેમજ પશુપાલન ક્ષેત્રે રાજ્ય વિકસીત બને તેવા ઉમદા હેતુ માટે રાજ્ય સરકાર પશુપાલક મિત્રોને હંમેશા મદદરૂપ બની રહી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ગ્રામિણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી રાજયમાં હાલમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨” તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ૧૦૮ ના સફળ અનુભવને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા “૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” અંતર્ગત બોટાદ જિલ્લામા ૧૫ મોબાઇલ પશુવાનને ફાળવવામા આવેલ છે.
આ કાર્યક્રમ અન્વયે મંત્રી એ જિલ્લાના પશુધનની તેમજ જિલ્લામાં અતિવૃષ્ટીને કારણે થયેલ નુકશાન અને થયેલ કામગીરીની વિગત મેળવી હતી.
આ મોબાઇલ પશુવાન દ્વારા નિયત કરેલ ગામોમાં નિ:શુલ્ક તેમજ આકસ્મિક સારવાર માટે ૧૯૬૨ પર ફોન કરી નિયત થયેલ ગામોમાં ઘર બેઠાં વિના મૂલ્યે પશુ સારવાર આપવામાં આવશે. આ તમામ વાહનો પશુ સારવાર માટેની જરૂરી તમામ દવા સાધન સામગ્રી અને નિષ્ણાત પશુચિકિત્સા અધિકારી સાથે ઉપલબ્ધ રહેશે. બોટાદ જિલ્લામાં હાલ ૧૦ મોબાઇલ પશુવાન કાર્યરત છે. આજરોજ તુરખા, ભીમડાદ, હરીપર, સુંદરીયાણા અને ઉમરાળા ગામ માટે ૫ નવી મોબાઈલ પશુવાન શરૂ કરવામાં આવતા જિલ્લામાં કૂલ પંદર મોબાઈલ પશુવાન કાર્યરત થયેલ છે.આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે જિલ્લાના ૧૦ મૈત્રી કેન્દ્રોને પ્રમાણપત્રો અને બીજદાન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, દસ ગામ દીઠ એક મોબાઇલ પશુવાનની સુવિધા બોટાદ જિલ્લામાં કાર્યરત છે. જે અન્વયે ૧૯૬૨ ડાયલ કરવાથી વિનામૂલ્ય ગામમાં ઘેર બેઠા પશુ સારવાર મળી રહેશે. માનવ સારવાર માટે જેમ ૧૦૮ સુવિધા છે તે પ્રકારની આ સુવિધા પશુધનની સારવાર માટે ઉપલબ્ધ બની છે. પ્રારંભિક તબક્કામાં બોટાદ જિલ્લામાં પશુદવાખાનાઓ પીપીપી – PPP ના ધોરણે GVK-EMRI મારફતે શરૂ કરવાનું આયોજન છે. આ યોજના મારફતે નિ:શુલ્ક પશુસારવાર સેવાઓ વર્ષના ૩૬૫ દિવસ સવારે ૭ થી રાત્રે ૭ દરમ્યાન પશુપાલકોને ગામમાં ઉપલબ્ધ થશે. આ તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યમંત્રીશ્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરવામાં આવશે તથા કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે.
આ કાર્યક્રમની સ્વાગત વિધિ રાજકોટ ઘનિષ્ટ પશુ સુધારણા યોજનાના નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.એચ.બી.પટેલએ તેમજ આભાર વિધિ બોટાદ નાયબ પશુપાલન નિયામક ડૉ.પી.ટી.કણઝરીયાએ કરી હતી.
આ પ્રસંગે સચિવ નલીન ઉપાધ્યાય, પશુપાલન નિયામક ડો.ફાલ્ગુનીબેન ઠાકર, જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી લલીતનારાયણસિંઘ સાંદુ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, અગ્રણીશ્રી ભીખુભા વાઘેલા, GVK-EMRI ચીફ ઓપરેટીંગ ઓફિસરશ્રી, પદાધિકારી ઓ તેમજ પશુપાલન વિભાગના અધિકારી – કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
આગળની પોસ્ટ