પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા, એટલે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને વિશ્વ પ્રસિદ્ધ મંદિર બનાવવા દાનવીરો પાસે કરોડોનું દાન એકત્ર કર્યું હતું. મંદિર નિર્માણકાર્ય શરૂ થાય એ પહેલાં જ કોરોના મહામારીનો પ્રકોપ શરૂ થયો, જેને કારણે મંદિરના બાંધકામમાં વિલંબ આવ્યો અને ભેગા થયેલાં દાન પૈકી અંદાજે રૂ. ૧૧ કરોડ જેટલી રકમમાંથી જનસેવા એ જ પ્રભુસેવાના સૂત્ર સાથે સંસ્થાએ કોવિડના સમયમાં સેવાકાર્યની શરૂઆત કરી છે. સંસ્થાના ચેરમેન આર.પી પટેલનું કહેવું છે કે મંદિરમાં ભગવાનની પૂજા-સેવા કરવી, એ જ રીતે હાલના કપરા સમયમાં લોકોની સેવા કરવી એ પણ મોટી અને મહત્ત્વની સેવા જ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા તરફથી ગત વર્ષે લોકડાઉનમાં જરૂરિયામંદોને રાશન કિટનું વિતરણ કરાયું હતું. એ બાદ બીજી લહેરમાં એપ્રિલ માસમાં અમદાવાદના નારણપુરા વિસ્તારના ડી.કે. પટેલ હોલમાં ૧૨૦ બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, જેમાં દર્દીઓને વિનામૂલ્યે કોવિડની સારવાર કરવામાં આવી હતી, જેમાં ૫૦૦થી વધુ દર્દીઓ સારવાર લઇ ચૂક્યા છે, સાથે-સાથે જ્યારે ઓક્સિજનની માગ ખૂબ મોટા પ્રમાણમાં હતી ત્યારે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી દર્દીઓ માટે બેંક મારફત ઓક્સિજન પૂરાં પાડ્યાં, જેનો ૧ હજાર લોકોએ લાભ લીધો હતો. એટલુ જ નહિ, પરંતુ સંસ્થાના ેંજીછમાં રહેતા અગ્રણીઓ તરફથી ગુજરાતમાં ૧ હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યાં છે, જે રાજ્યના ૧૫ જિલ્લામાં પહોંચાડવામાં આવ્યાં હતાં. અમદાવાદના જાસપુર ખાતે કડવા પાટીદાર સમાજનાં કુળદેવી ઉમિયા માતાજીનું વિશ્વનું સૌથી ઊચું મંદિર તૈયાર થવાનું છે. એ માટે ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ એ બાદ કોરોના મહામારીએ જગતને થંભવી નાખ્યું અને લોકડાઉન આવ્યું. એની અસર મંદિરના નિર્માણકાર્ય પર પડી છે. સંસ્થાના હોદ્દેદારો મંદિરનું બાંધકામ શરૂ થયાનાં ૫થી ૬ વર્ષમાં આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ કરાવાનો લક્ષ્યાંક રાખી રહ્યા છે. જોકે હાલની સ્થિતિને જોતાં મંદિરનું બાંધકામ પૂરું થવામાં વાર લાગશે.
આગળની પોસ્ટ