ઉત્તર રેલવેએ હવે સુશીલ કુમારને નોકરીમાંથી હટાવવાનો ઇરાદો બનાવી લીધો છે. સુશીલની રવિવારે હત્યાના કેસમાં દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. સોમવારે રેલવેના એક પ્રવક્તાએ આ જાણકારી આપી છે.
ઉત્તર રેલવેના વરિષ્ઠ મેનેજર પદ પર કાર્યરત સુશીલ કુમારની દિલ્હી સરકારે છત્રસાલ સ્ટેડિયમમાં સ્કૂલમાં રમતના વિકાસ માટે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી તરીકે નિમણૂક કરી હતી.
૧૮ દિવસ સુધી ફરાર સુશીલ કુમારની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. સુશીલ પર છત્રસાલ સ્ટેડિયમમાં ૨૩ વર્ષીય રેસલર સાગર રાણાની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે. સુશીલની સાથે અજયનું નામ પણ આ મામલામાં આવી રહ્યું છે.
ઉત્તર રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર દીપક કુમારે જણાવ્યું, રેલવે બોર્ડને રવિવારે દિલ્હી સરકાર પાસેથી એક રિપોર્ટ મળ્યો છે. તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાયેલી છે અને તેને નોકરીથી હટાવી દેવામાં આવશે. અધિકારીઓએ કહ્યું, સુશીલને સસ્પેન્ડ કરવાનો સત્તાવાર ઓર્ડર એક-બે દિવસમાં જારી કરવામાં આવી શકે છે. રવિવારે જ્યારે સુશીલની સાગર રાણા હત્યાકાંડમાં દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી તો તે અટકળો તેજ થઈ કે બે વખતના ઓલિમ્પિયન મેડલ વિજેતાએ પોતાની રેલવેની નોકરીમાંથી હાથ ધોવા પડી શકે છે.
દિલ્હી સરકારે તેનું ડેપ્યુટેશન વધારવાની માંગ નકારી દીધી હતી. ત્યારબાદ સરકારે ઉત્તર રેલવેને તેની અરજી રદ્દ કરવા મોકલી આપી હતી. સુશીલ ૨૦૧૫થી ડેપ્યુટેશન પર હતો. તેનો કાર્યકાળ ૨૦૨૦ સુધી હતો જેને તે ૨૦૨૧ સુધી વધારવા ઈચ્છતો હતો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ