જેલમાં સારું વર્તન અને શિસ્તનું પાલન કર્યું હોવાના પાસાને ધ્યાનમાં રાખીને સંજય દત્તને સજાની મુદત પૂર્ણ થયા પહેલાં જ છોડી દેવામાં આવ્યો હતો એવું રાજ્ય સરકારે મુંબઈ હાઈ કોર્ટમાં કહ્યું હતું. રાજ્ય સરકારે ખુલાસો હાઈ કોર્ટમાં ફાઇલ કરેલા ઍફિડેવિટમાં કર્યો છે.પુણેના પ્રદીપ ભાલેકરે સંજય દત્તના વહેલા મુક્ત થવા પર પ્રશ્ન કરી મુંબઈ હાઈ કોર્ટમાં જનહિતની અરજી કરી છે. આ અરજી પર ગઈ સુનાવણીમાં હાઈ કોર્ટે સરકારને સંજય દત્તને જેલમાંથી આઠ મહિના વહેલો મુક્ત કરવા વિશે સ્પષ્ટીકરણ માગ્યું હતું. એ પ્રમાણે સરકારે ગઈ કાલે ખુલાસો કરતું ઍફિડેવિટ ફાઇલ કર્યું હતું.ઍફિડેવિટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સંજય દત્તનું વર્તન જેલમાં સારું હતું તેમ જ તેણે જેલમાં સોંપવામાં આવેલાં કામ પણ સારી રીતે કર્યા હતાં. એથી નિયમ પ્રમાણે જ સજાની મુદત પહેલાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
કેસ ચાલી રહ્યો હતો ત્યારે સંજય દત્ત ૧૬ મહિના જેલમાં હતો. સજા બાદ અઢી વર્ષ તેણે જેલમાં કાઢ્યાં હતાં. જૂન-૨૦૧૩થી ફેબ્રુઆરી-૨૦૧૬ દરમ્યાન કુલ ૨૫૬ દિવસ તે જેલમાં હતો એવું ઍફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે. ૨૦૧૫ની ૧૯ ઑક્ટોબરે સંજય દત્તની સજા માફ કરવા વિશે રાજ્ય સરકારને અરજી કરવામાં આવી હતી. આ અરજી ડિસેમ્બર-૨૦૧૫માં ફગાવી દેવામાં આવી હતી. સંજય દત્તનું જેલમાં વર્તન સારું હોવાથી તેને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંજય દત્તને પાંચ વર્ષની જેલની સજા થઈ હતી અને ૮ મહિના, ૧૬ દિવસ પહેલાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો. ૨૦૧૬ની ૨૫ ફેબ્રુઆરીએ તે જેલમાંથી બહાર આવ્યો હતો એ પણ ઍફિડેવિટમાં સ્પષ્ટ કરેલું હતું. વખતોવખત તેને પરોલ અને ફર્લો પર નિયમ અનુસાર છોડવામાં આવ્યો હતો.
આગળની પોસ્ટ