પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પનામા ગેટ મામલામાં ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયા છે. નવાઝ શરીફની સાથે તેના પરિવારના અન્ય સભ્યો ઉપર પણ ગેરરીતિ કરવાનો આરોપ છે. તો પાકિસ્તાનમાં તપાસ એજન્સીએ પણ નવાઝ શરીફ વિરુદ્ધ કાર્યવાહી કરવા કોર્ટને ભલામણ કરી છે.પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે ગઠિત કરેલી સંયુક્ત તપાસ એજન્સીએ નવાઝ પરનો પોતાનો રીપોર્ટ સોંપી દીધો છે. જો નવાઝ શરીફને સત્તા ગુમાવવાનો વારો આવશે તો આવા સંજોગોમાં તેના ભાઈ શાહબાઝ શરીફને પણ વડાપ્રધાન બનાવવામાં આવી શકે છે. સૂત્રોનું માનીએ તો પાકિસ્તાનમાં આર્મી પણ સત્તા પોતાના હાથમાં લઈ શકે છે.એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ જેઆઇટીએ પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફ, તેમના દીકરા હસન નવાઝ અને તેની દીકરી મરિયમ નવાઝ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવાની ભલામણ કરી છે જેથી કહી શકાય કે, પાકિસ્તાનમાં નવાઝ સરકારનું પતન ગમે ત્યારે થઈ શકે છે.
વર્તમાન સંજોગામાં જો પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ જેઆઇટીની ભલામણનો સ્વીકાર કરે છે તો, નવાઝ શરીફને આગામી એક સપ્તાહમાં તેમનું પદ છોડવું પડી શકે છે જેની અસર ભારત ઉપર પણ પડી શકે છે. કારણ કે નવાઝના પતનનો સીધો અર્થ એ થશે કે પાકિસ્તાનની સત્તા સેનાના હાથમાં જશે જે ભારત માટે મુશ્કેલી વધારી શકે છે. હાલના સમયમાં પણ પાકિસ્તાનની સરકાર તેની આર્મી ચલાવે છે તેમ કહી શકાય પરંતુ તે નવાઝ શરીફનો કઠપૂતળી તરીકે ઉપયોગ કરીને સત્તા ચલાવે છે, હવે જો નવાઝ સરકારનું પતન થશે તો સત્તાનું નિયંત્રણ સીધું જ પાકિસ્તાની આર્મીના હાથમાં જશે.પાકિસ્તાનનો ઈતિહાસ સાક્ષી છે કે, જ્યારે પણ ત્યાં મુશ્કેલી આવી છે, ત્યારે તેણે ભારત ઉપર હુમલા કરવાનું પ્રમાણ વધાર્યું છે. હવે જો પાકિસ્તાનમાં આર્મી સત્તા સંભાળે તો કશ્મીરમાં આતંકી પ્રવૃત્તિને વધુ વેગ મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.