પૂણેની જિનોવા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા ભારતમાં નવી પ્રકારની વેક્સિન ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. તાજેતરમાં સરકાર દ્વારા તેને SARS-CoV-2 એટલે કે કોરોનાની સારવાર માટે મેસેન્જર કે mRNA ટેકનોલોજી આધારિત વેક્સિન બનાવવા ફંડ આપવામાં આવ્યું છે. કંપની દ્વારા ઓક્ટોબરમાં કોરોનાની વેક્સિનની હ્યુમન ટ્રાયલ શરૂ કરાશે.
કંપની માર્ચ ૨૦૨૧ સુધીમાં વેક્સિનને બજારમાં મૂકવાની ધારણા રાખે છે. વિશ્વમાં બે ફાર્મા કંપનીઓ મોડર્ના તેમજ ફાઈઝર બાયોએનટેક દ્વારા mRNA આધારિત કોરોનાની વેકિસન બનાવવામાં આવી રહી છે.
દિલ્હીની ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસ AIIMSની એથિક્સ કમિટીએ સોમવારથી દેશમાં વિકસાવવામાં આવેલી કોરોનાની રસી Covaxinની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ માટે સોમવારથી તંદુરસ્ત વ્યક્તિઓનું રજિસ્ટ્રેશન કરાશે. વિશ્વમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા ૧.૪ કરોડને પાર થઈ છે ત્યારે દેશની ૭ ફાર્મા કંપનીઓ કોરોનાની વેક્સિન બનાવવા સ્પર્ધામાં ઉતરી છે.