નોટબંધીના સમયગાળા દરમ્યાન કરોડો રૂપિયાના બ્લેકમનીને વ્હાઇટ કરવાના કૌભાંડમાં સુરતના જીગ્નેશ ભજીયાવાલાને જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે સાફ ઇનકાર કરી દીધો છે. જસ્ટિસ આર.એચ.શુકલએ જીગ્નેશ ભજીયાવાલાની જામીનઅરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે નોંધ્યુ હતું કે, આરોપીના ગુનાની ગંભીરતા અને તેની સામેનો પ્રથમદર્શનીય કેસ જોતાં તેને હાલના તબક્કે જામીનનો લાભ આપી શકાય તેમ નથી. નોટબંધી બાદ સુરતના ભજીયાવાલા પરિવારના બ્લેકમની વ્હાઇટ કરવાના કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આરોપી જીગ્નેશ ભજીયાવાલાએ સાડા ત્રણ કરોડથી પણ વધુ રકમની હેરાફેરી કરી હોવાની વિગતો સામે આવી હતી. ઇડીની તપાસમાં એવી ચોંકાવનારી હકીકત પણ સામે આવી હતી કે, જીગ્નેશ ભજીયાવાલાએ જુદા જુદા ૨૬ જેટલા બેંક એકાઉન્ટ્સમાં કરોડોની રકમ જમા કરાવી હતી. બાદમાં આ નાણાં કે તેના સ્ત્રોત અંગે તે ખુલાસો કરી શકયો ન હતો. જેને પગલે આ સમગ્ર કૌભાંડમાં જીગ્નેશ ભજીયાવાલાની જાન્યુઆરી માસમાં ધરપકડ થઇ હતી. બે મહિના પહેલાં જ પીએમએલએ સ્પેશ્યલ કોર્ટે આરોપી જીગ્નેશ ભજીયાવાલાના જામીન ફગાવ્યા હતા. દરમ્યાન તેણે ગુજરાત હાઇકોર્ટમાં જામીનઅરજી કરી એવો બચાવ રજૂ કર્યો હતો કે, તે આ કેસમાં નિર્દોષ છે, તેને ખોટી રીતે ઇડી દ્વારા સંડોવવામાં આવ્યો છે. તેની વિરૂદ્ધ કોઇ નક્કર પુરાવા પણ નથી. આ સંજોગોમાં તેને જામીનનો લાભ મળવો જોઇએ. જો કે, રાજય સરકાર તરફથી આરોપી જીગ્નેશ ભજીયાવાલાની જામીનઅરજીનો સખત વિરોધ કરતાં જણાવાયું હતું કે, આરોપી ખૂબ જ ગંભીર પ્રકારના મની લોન્ડરીંગના ગુનામાં સંડોવાયેલો છે અને તેની વિરૂધ્ધ કરોડો રૂપિયાના કાળાં નાણાં સફેદ કરવાનો ગંભીર આરોપ છે. આરોપીએ તેના અને તેના પરિવારજનોના તેમ જ અન્ય પરિચિતોના એક હજાર બેંક એકાઉન્ટ ઓપરેટ કરી તેના મારફતે કરોડો રૂપિયાની હેરાફેરી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે. આરોપી વિરૂધ્ધ આ કેસમાં પ્રથમ દર્શનીય ગુનો બને છે. આ કેસની તપાસ ચાલી રહી છે ત્યારે તેવા નાજુક તબક્કે જો, આરોપીને જામીન અપાય તો, કેસના સાક્ષીઓ પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા થવાની શકયતા નકારી શકાતી નથી. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે જીગ્નેશ ભજીયાવાલાના જામીન આકરા વલણ સાથે ફગાવી દીધા હતા.
આગળની પોસ્ટ