રાજકોટ શહેરની બજરંગવાડીમાં રહેતા દરજી પરિવારની છ માસ અને છ દિવસની બાળકીના ઘોડિયા પર લાઉડ સ્પીકર પડતા મોત નિપજ્યું છે. ઘટનાની વિગત અનુસાર બજરંગવાડી-૫માં રહેતા અને દરજી કામ કરી ગુજરાન ચલાવતા પરિમલભાઈ નીતિનભાઈ પરમારના કાકાના દીકરા મહેશભાઇના લગ્ન હતા. આ પ્રસંગ માટે રામનાથપરામાં આવેલી મચ્છુ કઠીયા સુથાર જ્ઞાતિની વાડી રાખવામાં આવી હતી. જ્યાં સોમવારે સાંજે દાંડીયા રાસનો કાર્યક્રમ હતો. જેથી પરિમલભાઈ, તેના પત્ની કિર્તીબેન પોતાની છ માસ મહિનાની પુત્રી હાર્વિ તથા સાત વર્ષના પુત્ર સાથે ગયા હતાં. અહીં માતાએ માસુમ દીકરી હાર્વીને ઘોડીયામાં સુવડાવી હતી. બહારથી સાઉન્ડ સિસ્ટમ મંગાવી હતી, તેના માણસો સાઉન્ડનું વાયરીંગ કરી રહ્યા હતાં. તેણે એક સ્પીકરની ઉપર બીજુ મોટુ સ્પીકર રાખતાં એ સ્પીકર અચાનક બાજુના લાકડાના ઘોડીયા પર પડ્યું હતું. મોટું સ્પીકર ઘોડીયા પર પડતા તૂટી ગયું. જેના લીધે ઘોડીયામાં સૂતેલી હાર્વી દબાઈ જતાં તેને ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નિપજ્યું હતું. હાલ એ-ડિવીઝનના પીએસઆઇ જે. ડી. વસાવા અને કમલેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી રહ્યાં છે.