કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની મુશ્કેલી હાલમાં દુર નહીં થાય તેવી શક્યતા છે. તેમના વિરોધ છતાં પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુરૂવારના દિવસે સંઘના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધીની સામે વધુ એક સમસ્યા હવે આવી રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ રાહુલ ગાંધીને સંઘ દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલા બદનક્ષીના એક કેસના સંબંધમાં ૧૨મી જુનના દિવસે મહારાષ્ટ્રની કોર્ટમાં હાજર થનાર છે. રાહુલ ગાંધી મંગળવારે ભિવન્ડી જવા રવાના થશે. તેમના કાર્યક્રમ મુજબ અંગત હાજરી કોર્ટમાં આપી દીધા બાદ રાહુલ ગાંધી મુંબઇમાં પાર્ટી બુથ લેવલના કાર્યકરોની સાથે વાતચીત કરનાર છે. રાહુલ ગાંધી હાજરી આપશે ત્યારબાદ કોર્ટ તેમની સામે આરોપો ઘડી કાઢે તેવી શક્યતા છે. ગઇકાલે સંઘના કાર્યક્રમમાં પ્રણવ મુખર્જી હાજરી આપવા માટે પહોંચ્યા હતા.
રાહુલ ગાંધી અને કોંગ્રેસના અનેક નેતાઓના વિરોધ છતાં પ્રણવ મુખર્જી હાજરી આપવા માટે પહોંચી ગયા હતા. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વર્ષો સુધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરીકે રહી ચુકેલા પ્રણવ મુખર્જીએ ગઇકાલે નાગપુરમાં સંઘના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને રાષ્ટ્રવાદના સંદર્ભમાં પોતાના અભિપ્રાય પણ રજૂ કર્યા હતા. પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રવાદને લઇને ખુબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, પ્રજાની ખુશીમાં જ રાજાની ખુશી હોવી જોઇએ. વાતચીતથી જુદી જુદી વિચારધારાના લોકોની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આટલી વિવિધતા હોવા છતાં ભારતીયતા અમારી ઓળખ બનીને રહી છે. રાષ્ટ્રવાદ કોઇપણ ભાષા, રંગ, ધર્મ અને જાતિથી પ્રભાવિત નથી.
આગળની પોસ્ટ