બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને વિપક્ષના નેતા ખાલીદા ઝિયાને ભ્રષ્ટાચારના એક કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે તેમને પાંચ વર્ષની સજા ફટકારી દીધી છે. ૭૨ વર્ષના ઝિયાને આ સજા ખાસ અદાલત દ્વારા ફટકારવામાં આવી છે. ખાલિદા ઝિયા ઉપર દોઢ કરોડ ૬૧ હજાર રૂપિયાની ઉચાપતનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. આ પૈસા ઝિયા અનાથાલય ટ્રસ્ટ માટે વિદેશમાંથી આવેલી રકમ હોવાની જાણવા મળ્યું છે. આ કેસમાં ઝિયાના પુત્ર તારિક રહેમાન અને અન્યોને ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ખાલિદા ઝિયાએ ૩૦મી નવેમ્બર ૨૦૧૪ના દિવસે પોતાના ઉપર મુકવામાં આવેલા આક્ષેપોને પડકાર ફેંકીને અરજી દાખલ કરી હતી પરંતુ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. આ પહેલા હાઈકોર્ટે નિચલી કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. નિચલી કોર્ટે ૧૯મી માર્ચ ૨૦૧૪ના દિવસે પોતાના આદેશમાં ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના બે મામલામાં દોષિત ઠેરવ્યા હતા. આ આરોપ ભ્રષ્ટાચાર અટકાયત પંચ દ્વારા મુકવામાં આવ્યા હતા. એવા આક્ષેપ કરાયા હતા કે ઝિયા અનાથાલય ટ્રસ્ટ અને ઝિયા ચેરિટેબલ ટ્ર્સ્ટ માત્ર કાગળ ઉપર છે. ખાલિદાના શાસનકાળમાં તેમના નામ ઉપર મોટી રકમની ગેરરીતિ આચરવામાં આવી હતી. તમામ લોકો જાણે છે કે, ખાલિદા ઝિયા ૨૦૦૧થી ૨૦૦૬ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન રહ્યા હતા. ખાલિદા ઝિયાને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ તેમના સમર્થકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. ચુકાદા સામે અપીલ કરવાની પણ તૈયારી તેમની પાર્ટીએ દર્શાવી છે.