ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ સુરત શહેર ભાજપમાં ભડકો થયો હતો. અસંતોષની આગથી દઝાયેલા ભાજપના જ ત્રણ આગેવાનોએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યાં હતાં. જેને ભાજપના આગેવાનો અટકાવી શકવામાં નિષ્ફળ રહ્યા હતા. તેના ઘેર પ્રત્યાઘાતો ભાજપમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યા હતા.
વરાછા વિસ્તારના કોર્પોરેટર અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વે ચેરમેન ભીમજી બુઢણાવાળાએ ખુલ્લો બળવો કર્યો હતો. તેમણે કરંજ બેઠક પર ભાજપની ટિકિટ માટે દાવેદારી કરી હતી. આ વિસ્તારમાં તેમનું પ્રભુત્વ સારું છે. લોકોનાં કામો પણ ઘણાં કર્યાં છે. વળી, છેલ્લાં બે વર્ષમાં ૮૦૦થી વધુ નિદાન કેમ્પો યોજી આશરે અઢી લાખ લોકોના નિદાન કરી જરૂરી દવા, ચશ્મા વગેરેનું તેમણે વિતરણ કર્યું છે.આ રીતે જોઈએ તો તે કરંજ બેઠક પર મજબૂત ઉમેદવાર સાબિત થશે. જો ભાજપની નેતાગીરી ભીમજી બુઢણાવાળાને સમજાવવામાં નિષ્ફળ જ રહેશે તો કરંજ બેઠક ભાજપે ગુમાવવાનો વખત આવશે.
તો સુરત શહેર ભાજપના પૂર્વ મા.મંત્રી અજય ચૌધરીએ ઉત્તર ભારતીયોને ભાજપે કરેલા અન્યાય સામે લાલચોળ થઈ બે બેઠક પર અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે. ઉધના અને ચોર્યાસી બેઠક પર તેમણે અપક્ષ ઉમેદવારી કરતા ભાજપની સ્થિતિ વધુ કફોડી બની હતી.
જ્યારે ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અનિલ ચૌહાણે લિંબાયત બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી છે.ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આ સ્થિતિનું નિર્માણ થયું છે. હવે ફોર્મ પાછાં ખેંચવા સુધીના સમયગાળામાં રિસામણા-મનામણા ચાલશે. તેમાં જો ભાજપ આ અપક્ષ ઉમેદવારોને મનાવી લેવામાં સફળ નહીં થાય તો ભાજપ માટે ત્રણેય બેઠકો પર જીતવાનું કપરું બની જશે.
આગળની પોસ્ટ