બાહુબલીમાં દેવસેનાના રોલથી સૌકોઇના દિલ જીતી લેનારી અભિનેત્રી અનુષ્કા શેટ્ટીને લઇ એક મોટી ખબર સામે આવી છે. મીડિયા રિપોર્ટસનું માનીએ તો, જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહરના પ્રોડકશન હાઉસે અનુષ્કાને પોતાની ફિલ્મ માટે મહત્વનો રોલ ઓફર કર્યો હતો પરંતુ અનુષ્કાએ કરણ જોહરને લઇ રોલ નકારી દીધો હતો. અંગ્રેજી પબ્લીકેશન્સ મુજબ, અનુષ્કાને જે રોલ ઓફર કરાયો હતો, તેનાથી તેણી ખુશ ન હતી. આ સિવાય બીજુ એક કારણ પણ સામે આવી રહ્યું છે અને તે મુજબ, કરણ જોહર અનુષ્કાને પોતાની ફિલ્મમાં લેવા ઉત્સુક હતો પરંતુ જયારે અનુષ્કાને રોલ ઓફર થયો ત્યારે તેણીએ ફિલ્મના બાહુબલી હીરો પ્રભાસ સાથે વાત કરી હતી અને તેથી એવુ પણ શકય છે કે, પ્રભાસના કહેવા પર જ અનુષ્કાએ ફિલ્મ રીજેકટ કરી હોય. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અનુષ્કાને તમાશા ફિલ્મ ઓફર થઇ હતી પરંતુ તેને રોલ પસંદ નહી આવતાં તેણીએ આ રોલ નકારી દીધો હતો. અનુષ્કા શેટ્ટીએ આ પ્રકારે અનેક બોલીવુડ ઓફરો નકારી દીધી છે. અનુષ્કાને રોહિત શેટ્ટીએ ગોલમાલ અગેઇન અને સિંઘમ પણ ઓફર કરી હતી. જો કે, તેણીએ આ રોલથી પણ સંતુષ્ટ નહી હોવાના કારણે આ ફિલ્મોમાં કામ કરવાનું ટાળ્યું હતું. હજુ થોડા દિવસ પહેલાં જ એવા સમાચાર આવ્યા હતા કે, કરણ જોહર પ્રભાસને પોતાની ફિલ્મમા કાસ્ટ કરવા માંગતો હતો પરંતુ પ્રભાસે આ ફિલ્મ માટે રૂ.૨૦ કરોડ માંગ્યા હતા, જેથી કરણ જોહરે તેને કાસ્ટ કરવાનું માંડી વાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે,છેલ્લા ઘણા સમયથી પ્રભાસ અને અનુષ્કાના પ્રેમસબંધોને લઇને પણ બોલીવુડ અને તેના ફેન્સમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને તેઓના ફેન્સમાં આ બાબતને લઇ ભારે ઉત્તેજના અને ઇન્તેજારી જોવા મળ્યા છે. એક તબક્કે તો બંને લગ્ન કરવાના હોવાના મીડિયા રિપોર્ટસ પણ ખૂબ ચગ્યા હતા.