હરિયાણાના ગુરુગ્રામની રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાત વર્ષના વિદ્યાર્થી પ્રદ્યુમ્ન ઠાકુરની હત્યા કરાયા બાદ દેશભરમાં માતા-પિતા, વાલીઓમાં પોતપોતાનાં સંતાનોની સલામતી મામલે ડર પેસી ગયો છે. આમાં બોલીવૂડ અભિનેતા સંજય દત્ત પણ સામેલ છે. તેણે કહ્યું છે કે મને મારા બે બાળકોની સલામતીની ચિંતા સતાવે છે.એક મુલાકાતમાં સંજયે કહ્યું છે કે, હું જ્યારે જેલમાં હતો ત્યારે મહિલાઓ અને બાળકો પર હિંસા થયાના કિસ્સાઓ વિશે સાંભળ્યું હતું. આવી ઘટનાઓ બને એ બહુ દુખદ કહેવાય.સંજયે વધુમાં કહ્યું કે, આપણે સૌએ આવી ઘટનાઓને વખોડી કાઢવી જોઈએ. સમાજમાં પરિવર્તન આવવું જ જોઈએ. જે લોકો આવી હિંસા કરે છે એમની સામે અત્યંત કડક રીતે પગલાં લેવા જોઈએ અને જે લોકોને ભોગવવું પડ્યું છે એમને ન્યાય મળવો જોઈએ.રાયન સ્કૂલમાં બાળકની હત્યાના ખતરનાક બનાવ વિશે બોલતાં ૫૮ વર્ષીય અને ત્રણ સંતાનોના પિતા સંજય દત્તે કહ્યું કે મને તો મારા બાળકોની સલામતીની ચિંતા થવા માંડી છે. આવા સ્થળને હવે કઈ રીતે સલામત ગણવું? તમે કોઈની ઉપર વિશ્વાસ કરી ન શકો.ઉલ્લેખનીય છે કે ગઈ ૮ સપ્ટેંબરે ગુરુગ્રામની રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતા સાત વર્ષીય પ્રદ્યુમ્નને સ્કૂલના શૌચાલયમાં ચાકુથી ગળું ચીરીને ખૂબ કરપીણ રીતે મારી નાખવામાં આવ્યો હતો. હરિયાણા સરકારે એ ઘટનામાં સીબીઆઈ તપાસનો નિર્ણય લીધો છે.પ્રદ્યુમ્નની હત્યા સ્કૂલના બસ કંડક્ટર અશોક કુમારે કરી હોવાનું કહેવાય છે.હત્યા બાદ એ સ્કૂલના પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પાછલી પોસ્ટ