ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમિત રામરહીમ સિંહને પંચકુલામાં ખાસ સીબીઆઈ કોર્ટે બળાત્કારના કેસમાં દોષિત જાહેર કર્યા બાદ તેમને તરત જ જ્યુડિશિયલ કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. તેમને હવે સોમવારના દિવસે સજાના દિવસે જ કોર્ટમાં ઉપસ્થિત કરવામાં આવશે. ડેરાના વડાને ચુકાદા વેળા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રેપના અપરાધીને લઘુત્તમ સાત વર્ષની અને મહત્તમ ૧૦ વર્ષની સજા કરવામાં આવી શકે છે. ચુકાદો આવતા પહેલા જ કોર્ટ રુમની બહાર જોરદાર ડ્રામાબાજી સર્જાઈ હતી. અનેક પ્રકારના વળાંકો આવ્યા હતા. જજ જગદીપસિંહ નક્કી કરવામાં આવેલા સમયે ૨.૩૦ વાગે ચુકાદો આપી શક્યા ન હતા. કારણ કે, બાબા રામરહીમ મોડેથી કોર્ટ પહોંચ્યા હતા. હકીકતમાં બાબાના કાફલામાંથી માત્ર બે ખાડીઓને કોર્ટ સુધી પહોંચવાની મંજુરી અપાઈ હતી. બાબાની ગાડીને આવવાની મંજુરી મળી હતી પરંતુ તેમની બીજી ગાડીને સુરક્ષાના કારણોસર મંજુરી મળી ન હતી. મોડેથી ડીજીપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રામ રહીમ કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટ સંકુલથી એક કિલોમીટરની હદની બહાર બાબાના હજારો સમર્થકો એકત્રિત થઇ ગયા હતા. ચુકાદો આવતા પહેલા જ પંચકુલા અને આસપાસના વિસ્તારોમાં વિજળી કાપી નાંખવામાં આવી હતી. કોર્ટ સંકુલના એક કિલોમીટરના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યું હતું. ચુકાદો આવ્યા બાદ અફડાતફડી જોવા મળી હતી. ચુકાદો આપવાની શરૂઆત થઇ ત્યારે પોલીસ અધિકારીઓને પણ બહાર મોકલી દેવામાં આવ્યા હતા. કોર્ટ રુમમાં તમામ ફોન બંધ કરી દેવામાં આવ્યા હતા. ચુકાદો આવ્યા બાદ હિંસાની શરૂઆત થઇ હતી. ચુકાદો આપવામાં આવ્યો ત્યારે બાબા રામરહીમ હાથ જોડીને ઉભા રહ્યા હતા. જો કે, હિંસાની શરૂઆત થયા બાદ પોલીસને સ્થિતિને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી. ડેરા સચ્ચાના પ્રમુખ ગુરમિત રામ રહીને બળાત્કારના કેસમાં અપરાધી જાહેર કરવામાં આવ્યા બાદ વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. પંચકુલા અને આસપાસના વિસ્તારોમાં ભડકી ઉઠેલી હિંસામાં ૧૩થી પણ વધુ લોકોના મોત થઇ ગયા છે. પંચકુલાની ખાસ સીબીઆઈ કોર્ટે ડેરા વડા રામ રહીમને બળાત્કારમાં દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ તેમના સમર્થકો હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. પંચકુલામાં સેંકડો ગાડીઓને ફૂંકી મારવામાં આવી હતી. પત્રકારો ઉપર પણ હુમલા કરવામાં આવ્યા હતા. રામ રહીમના સંદર્ભમાં ચુકાદો આવ્યા બાદ દિલ્હી અને ઉત્તર પ્રદેશની સરહદો ઉપર એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. બીજી બાજુ હિંસા બેકાબૂ બન્યા બાદ અને ૧૩થી વધુ લોકોના મોત થયા બાદ અનેક વિસ્તારોમાં સંચારબંધી લાગૂ કરી દેવામાં આવી હતી. ભટિંડા, સંગરુર-પટિયાલામાં સંચારબંધી લાગૂ કરાઈ હતી. હરિયાણાના પંચકુલમાં પણ સંચારબંધી લાગૂ કરી દેવામાં આવી હતી. હિંસા ફેલાયા બાદ સેનાની છ ટુકડીઓ પણ તૈનાત કરી દેવામાં આવી છે.
પાછલી પોસ્ટ