Aapnu Gujarat
રાષ્ટ્રીય

જ્ઞાનવાપી કેસઃ મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, શ્રુંગાર ગૌરીની નિયમિત પૂજાની માગ કરતી અરજી પર થશે સુનાવણી

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) વિવાદ સાથે જોડાયેલા શ્રુંગાર ગૌરી કેસમાં અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટીને મોટો ઝટકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટએ મુસ્લિમ પક્ષના વાંધાને ફગાવી દીધો છે. જેથી હાઈકોર્ટના ચુકાદા બાદ શ્રુંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગ કરતી અરજી પર સુનાવણીનો રસ્તો ખૂલી ગયો છે. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષના વાંધાને ફગાવતા હિંદુ પક્ષની અરજીને સુનાવણી યોગ્ય મની છે. હવે, જિલ્લા કોર્ટ વારાણસી શ્રુંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરશે.

બુધવારે જસ્ટિસ જે જે મુનીરની સિંગલ બેન્ચે ચુકાદો આપ્યો છે. આ પહેલા દલીલો પૂરી થયા બાદ કોર્ટે 23 ડિસેમ્બર, 2022એ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટીએ જિલ્લા જજ વારાણસીના ચુકાદાને પડકાર્યો હતો.

શ્રુંગાર ગૌરી કેસમાં રાખી સિંહ તેમજ 9 અન્યએ વારાણસીની કોર્ટમાં સિવિલ કેસ કર્યો હતો. આ કેસમાં પોતાનો વાંધો ફગાવાયા બાદ મસ્જિદની ઈંતજામિયા કમિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં વારાણસીના જિલ્લા જજની કોર્ટે 12 સપ્ટેમ્બરે આપેલા ચુકાદાને પડકારવામાં આવ્યો હતો.

અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991ની જોગવાઈઓ મુજબ કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ શકે નહીં. વારાસણીની કોર્ટે કમિટીની અરજીને ફગાવી દીધી હતી, જે ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કોર્ટમાં અરજી કરનારી 5 મહિલાઓ સહિત 10 લોકોને પક્ષકાર બનાવાયા હતા. ઉલ્લેખનીય છે કે, હાલમાં મહિલાઓને ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે શ્રુંગાર ગૌરીની પૂજાની મંજૂરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ 2021માં દિલ્હીની એક મહિલા રાખી સિંહ અને ચાર અન્ય મહિલાઓએ જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં શ્રુંગાર ગૌરી અને કેટલાક અન્ય દેવી-દેવતાઓના દર્શન-પૂજનની મંજૂરીની માગ કરતી અપીલ વારાણસીની કોર્ટમાં કરી હતી. તેમાં દાવો કરાયો છે કે, દેવી-દેવતા પ્લોટ નંબર 9130માં છે, જે વિવાદીત નથી.

અરજીમાં કહેવાયું છે કે, સર્વે કરાવીને આખા મામલાનો ઉકેલ લાવવામાં આવે. તેના લગભગ 8 મહિના પછી એપ્રિલ, 2022માં કોર્ટે સર્વે કરવાનો અને તેની વિડીયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો હતો. અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટીએ આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે કમિટીની અરજીને ફગાવી દીધી હતી. સર્વે દરમિયાન મસ્જિદના વજૂખાનામાં એક એવી આકૃતિ મળી, જે શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તે પછી મસ્જિદને સીલ કરી દેવાઈ હતી. જોકે, સુપ્રીમ કોર્ટે મસ્જિદમાં નમાજ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. જોકે, વજૂખાનું હજુ પણ સીલ છે. મસ્જિદની પાછળની તરફના ભાગમાં શ્રુંગાર ગૌરીની પૂજા હાલમાં વર્ષમાં એક વખત કરવામાં આવે છે, પરંતુ હવે નિયમિત પૂજા કરવાની માંગ કરવામાં આવી છે.

Related posts

એએપી સાથે ગઠબંધન મુદ્દે કોંગ્રેસમાં દુવિધા

aapnugujarat

યુપીને મેડિકલ ટ્યુરિઝમના હબ બનાવવા જાહેરાત

aapnugujarat

અંબાણી, માલ્યા અને નીરવને કરોડો, જ્યારે દેશના ખેડૂતોને સાડા ત્રણ રૂપિયા : રાહુલ ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1