દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ દફતરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં એક પોલીસ કર્મચારીએ ખંભાળિયા નજીકના દ્વારકા હાઇવે પર આવેલા ખોડિયાર મંદિર પાછળના ભાગે સરકારી રિવોલ્વરમાંથી ગોળી છોડી આપઘાત કરી લેતાં સનસનાટી મચી જવા પામી છે. ચાર પુત્રીઓ ના પિતા એવા પોલીસ કર્મચારી માનસિક કમજોરી અથવા અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગમાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ કલ્યાણપુર પોલીસ દફતરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ વાઘેલા નામના પોલીસ કર્મચારીએ ગઈકાલે ખંભાળિયા નજીકના દ્વારકા ધોરી માર્ગ પર આવેલા ખોડિયાર માતાજીના મંદિરના પાછળના ભાગે પહોંચી, સરકારી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં જ એસપી નિતેશ પાંડે સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જો કે મૃતક કે કયા કારણોસર આપઘાત કર્યો છે તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ મૃતકના ભાઇ દિપક વાઘેલા એ પોલીસમાં આપેલા નિવેદન મુજબ માનસિક કમજોરી અથવા અગમ્ય કારણસર પ્રવીણભાઈ આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ચાર પુત્રીઓ ના પિતા એવા મૃતક પ્રવિણભાઈની પત્નીનું કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યુ હતું. માતાની છત્રછાયા ગુમાવી આવ્યા બાદ ચાર પુત્રીઓ એ પિતાની પણ હુંફ ગુમાવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવ અંગે ખંભાળીયા પોલીસ દ્વારા વિધિવત તપાસ હાથ ધરવામાં આવી છે.
પાછલી પોસ્ટ