Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી રૂપાણીની કોર્પોરેટરોને કોન્ટ્રાક્ટરગીરી ન કરવા ચેતવણી

અમદાવાદ મહાનગરપાલિકામાં ૧૬૦ કોર્પોરેટરો સાથે સત્તા મેળવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કોર્પોરેટરોને પ્રમાણિકતાના પાઠ ભણાવ્યા. ગાંધીનગરના ખાનગી ફાર્મમાં ભાજપના નવા કોર્પોરેટરોની ગઈકાલે મળેલી ટિફિન બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી શિક્ષકની ભૂમિકામાં નજરે પડ્યા. પોતાના વિસ્તૃત સંબોધનમાં તેમણે કોર્પોરેટરોને અનેક સૂચનાઓ આપવા સાથે સફળ રાજકીય જીવન માટે મંત્ર પણ આપ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ પોતાનું ઉદાહરણ આપીને કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની સફર કેવી રહી તે સમજાવ્યું. પક્ષથી મોટું કોઈ નથી અને પક્ષના યોગદાનને યાદ રાખીને પ્રજાલક્ષી કામગીરી કરવા મુખ્યમંત્રી રૂપાણીએ કોર્પોરેટરોને તૈયાર કર્યા.
મોટાભાગના કોર્પોરેટરો પહેલીવાર ચૂંટાયા હોવાથી રાજકીય કારકિર્દી લાંબી ચાલે અને સ્વચ્છ રહે તે માટે મુખ્યમંત્રીએ વિશેષ ધ્યાન આપ્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે તમે લોકો નસીબદાર છો કારણકે ૩ હજાર બાયોડેટામાંથી તમને ટીકીટ મળી અને પછી તમે જીત્યા. કાર્યકરો અને પક્ષના કારણે તમારી જીત થઈ છે ત્યારે કાર્યકરોને સાથે રાખીને ચાલવાની પહેલી ફરજ છે. કાર્યકરોનું માન, સન્માન જળવાય તેની તકેદારી રાખવી. પ્રજાના કામોને પ્રાથમિકતા આપવી અને કોન્ટ્રાકટર સિસ્ટમથી દૂર રહેવું. જાહેર જીવનમાં પ્રામાણિકતાના રસ્તે ચાલવાથી જ સફળતા મળે, કદાચ સફળતા મોડી મળે પણ ચોક્કસ મળે છે. કોન્ટ્રાકટરગીરી કરતા જે પણ કોર્પોરેટર દેખાશે, તેનું રાજીનામું લેતા નહીં અચકાય તેવી પણ ચીમકી મુખ્યમંત્રીએ આપી હતી.
સાથે જ તેમણે કોર્પોરેટરોને લાંબી રાજકીય કારકિર્દી માટે કામ કરવાનો મંત્ર આપ્યો. તેમણે કહ્યું કે, જો કોર્પોરેટર તરીકે તમારું કામ સારું હશે તો સૌ કોઈ નોંધ લેશે અને ધારાસભ્ય, સાંસદ બનવાનો પણ મોકો મળશે. પોતે પણ કોર્પોરેટર તરીકે કામ કરી ચૂક્યાનું ઉદાહરણ આપીને તેમણે કોર્પોરેટરોને સતત પક્ષ માટે કામ કરવા સમજાવ્યા.

Related posts

ઈ મેમોથી આવક ઘટતાં અમદાવાદમાં ટ્રાફિક પોલીસ પણ મેમો ફાડશે

aapnugujarat

નવાવાડજમાં જૂથ અથડામણ : ત્રણને ઇજા

aapnugujarat

ખેડૂતોને મગફળીના ટેકાના ભાવો સમયસર મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ : નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1