વડોદરા શહેરમાં તા.૧૫મી ઓગસ્ટ,૨૦૧૭ના રોજ પ્રથમવાર રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી થવાની છે. તેના અનુસંધાને જિલ્લા કલેકટર પી.ભારતીએ બુધવારે મળેલી બેઠકમાં સાંસદશ્રી, મેયરશ્રી, મ્યુનીસીપલ કમિશનરશ્રી તેમજ પોલીસ વિભાગ સાથે આન,બાન અને શાનસભર ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોના આયોજનની વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે તા. ૧૫મી ઓગસ્ટ, ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વો અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ફક્ત અમદાવાદ-ગાંધીનગર સુધી સિમિત ન રાખતાં, રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ તેની ઉજવણી યોજવા અને તે રીતે આ પર્વોને લોકોત્સવો બનાવવાની પહેલ વડોદરામાં ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીથી કરવામાં આવી હતી જેની પ્રેરણા તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી હતી. વડોદરાની આ પહેલએ રાજ્યોત્સવ પરંપરા બની છે.
સ્વતંત્રતા દિવસ ઉજવણીની લોક ચેતનાનો સંચાર કરવા તા.૧૫/૦૮ અગાઉ વિવિધ ખાતાઓના પૂર્ણ થયેલા વિકાસકામોના લોકાર્પણો અને આયોજિત કામોના ભૂમિપૂજન/પ્રારંભના શ્રેણીબધ્ધ કાર્યક્રમો યોજવા બેઠકમાં સૂચના આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી હેઠળ લોકાર્પણો સહિતના વિવિધ લોકોપયોગી કાર્યક્રમો ઉપરાંત તા.૧૫/૦૮ની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલશ્રી ધ્વારા મિલન સમારોહ (એટ હોમ), સાંસ્કૃતિક સંધ્યા અને સ્વતંત્રતા દિવસે શાનદાર પરેડ સાથે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાય છે. આ ત્રણેય કાર્યક્રમો માટે અનુકૂળ સ્થળોની બેઠકમાં વિચારણા કરવામાં આવી હતી. આ માટે નવલખી મેદાન, અકોટા સ્ટેડીયમ અને માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષનો વિચાર કરવામાં આવ્યો હતો અને વિકલ્પના રૂપમાં પોલોમેદાન, સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ,અયપ્પા મેદાન જેવા સ્થળો તારવામાં આવ્યા હતા.
સાંસદ રંજનબેન ભટ્ટ, મેયરશ્રી ભરત ડાંગર અને મ્યુનીસીપલ કમિશનર ડૉ. વિનોદ રાવે વિવિધ સૂચનો કર્યા હતા. કલેકટરશ્રીએ રાષ્ટ્રીય પર્વની સાથે સાંસ્કૃતિક નગરી તરીકે વડોદરાની અસ્મિતા ઉજ્જવળ બને એવા કાર્યક્રમ આયોજન પર ભાર મૂક્યો હતો.