વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત યાત્રાને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી ચુકી છે. આને લઈને એકબાજુ કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો તૈયાર કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ ખૂબ જ ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે. મોદી જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેનાર છે. ભચાઉ ખાતે થનાર કાર્યક્રમમાં આહીરો, ભરવાડો સહિતના વિખ્યાત રાસમંડળો પરંપરાગત વેશભૂષામાં પરિધાન સાથે કળા દર્શાવશે. તમામ પ્રકારના આયોજન માટે ભચાઉ ખાતે તૈયારી શરૂ થઈ ચુકી છે.આગામી ૨૨ના જ્યારે દેશના વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા નરેન્દ્ર મોદીએ આપેલ સ્વચ્છતા અભિયાનને અનુલક્ષીને ૨૧-૫-૨૦૧૭ના સવારે ૯.૦૦ કલાકે ગાંધીધામ મધ્યે મહા સફાઇ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં ૨૫૦૦ જેટલા યુવાનો જોડાશે જે એક વર્લ્ડ રેકોર્ડ બની જશે તેમજ યુવા મોરચા દ્વારા ૨૦ તથા ૨૧-૫-૨૦૧૭ એમ બે દિવસ એક ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન ગાંધીધામ મધ્યે રાખવામાં આવેલ છે જેમાં કચ્છભરમાંથી સ્પર્ધકો જોડાશે અને પોતાની કલા દર્શાવશે અને ૨૧ના સાંજે ૭ કલાકે ગાંધીધામ રોટરી સર્કલ પાસે એક શામ શહિદો કે નામ ને અનુલક્ષીને એક સંગીત સંધ્યાનું પણ આયોજન રાખવામાં આવેલ છે. આ અંગે વધુ વિગત આપતા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ રાહુલભાઈ ગોરે જણાવ્યું હતું કે, જૈના હૈયામાં હર હંમેશ કચ્છ વસેલુ છે અને વિશ્વના કોઈ પણ ખુણે જઇને કચ્છને હર હંમેશ યાદ કરતા અને જેને સવાયા કચ્છી કહી શકીએ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની ધીંગી ધરા પર મા નર્મદાના નીરના વધામણા કરવા તેમજ કરોડો રૂપિયાની યોજનાના ખાતમુર્હૂત માટે આવી રહ્યા છે ત્યારે કચ્છના યુવાનો પણ નરેન્દ્ર મોદીને આવકાર આપવા થનગની રહ્યા છે અને નરેન્દ્ર મોદીને કચ્છની ધીંગી ધરા ઉપરર ભવ્યથી ભવ્ય સ્વાગત કરવા માટે આતુર હોવાનું જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસીકલાલ ઠક્કરની યાદીમાં જણાવાયું હતું. વડાપ્રધાનને આવકારવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય આકર્ષણમાં કચ્છના પ્રખ્યાત ફળોના ૫૧ ફૂટના હારથી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે, તેમજ હાલ ગાંધીધામ ખાતે એલઇડી લાઇટના તોરણ, વિક્રમજનક સંખ્યા સાથે સફાઈ ઝુંબેશ, માલધારીઓ પરંપરાગત વેશભૂષા યોજશે, સત્કાર સમારંભ, ૧૦૮ જગ્યાએ ગૌપૂજન વગેરે જેવા મુખ્ય આકર્ષણોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ માટે સમગ્ર કચ્છ ઉત્સાહિત થઇને દરેક તાલુકામાં દરેક મથકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વૈવિધ્યસભર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.