કુપોષણનું ભારણ ઘટાડવા સમગ્ર ગુજરાત રાજ્યમાં કુપોષણ મુક્ત ગુજરાત મહા અભિયાન મિશન મોડ પર શરૂ કરવામાં આવેલ છે. બાળકોમાં જોવા મળતુ કુપોષણ એ બાળકોમાં ફક્ત મૃત્યુદર તથા બિમારીનાં પ્રમાણમાં વધારા માટે જ નહિ પણ અપુરતા વૃધ્ધી વિકાસ, નબળા શારીરિક અને માનસિક વિકાસ માટે પણ જવાબદાર છે. વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં કુપોષણ મુક્ત ગુજરાત મહા અભિયાનના ત્રીજા તબક્કા અતંર્ગત ૦ થી ૫ વર્ષના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. વિરમગામ તાલુકાના ભોજવા ગામમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવના અધ્યક્ષ સ્થાને જનજાગૃતિ શિબીર યોજાઇ હતી. જેમાં જીલ્લા આરસીએચઓ ડો.સ્વામિ કાપડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, જીલ્લા આઇઇસી ઓફિસર વિજય પંડિત, ડો.આર.જી.વાઘેલા, ડો.કિરણ પંચાલ,, ટીઆઇઇસીઓ એસ.એલ.ભગોરા, ગૌરીબેન મકવાણા, કે.એમ. મકવાણા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવે જણાવ્યુ હતુ કે, કુપોષણ મુક્ત ગુજરાત મહા અભિયાનના ત્રીજા તબક્કા અંતર્ગત સૌ પ્રથમ ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને આંગણવાડી ખાતે શારીરીક તપાસ અર્થે લાવવામાં આવે છે. જ્યાં તાલીમબધ્ધ સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્રારા બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. તપાસ બાદ અતિ ગંભીર કુપોષિત બાળકો (સેમ)ની અલગ યાદી બનાવવામાં આવે છે. આ બાળકોનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા ભુખ પરિક્ષણ (એપેટાઇટ ટેસ્ટ) કરવામાં આવે છે. જેમાં જો બાળક ભુખ પરીક્ષણમાં નાપાસ થાય તો તેવા બાળકોને તાત્કાલીક બાલ સેવા કેન્દ્ર (સીએમટીસી) ખાતે રીફર કરી સતત ૧૪ દિવસ સુધી સઘન મેડિકલ સારવાર તેમજ પોષણ આહાર આપીને તંદુરસ્ત બનાવવામાં આવે છે. જે બાળકો ભુખ પરિક્ષણમાં પાસ થાય છે તેવા બાળકોને વજન પ્રમાણે સામુયાદીક સ્તરે ૧૨ અઠવાડીયા સુધી પોષક તત્વોયુક્ત બાલ અમૃતમ આપવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાં ૧૮૦૦૦૦થી વધુ બાળકોનું કુપોષણ મુક્ત ગુજરાત અંતર્ગત સ્ક્રિનીંગ કરવામાં આવશે અને જરૂરીયાત વાળા કુપોષિત અને અતિકુપોષિત બાળકોને મેડિકલ સારવાર અને પોષણ આપીને બાળકોને તંદુરસ્ત, કુપોષણ મુક્ત બનાવવાનું સમગ્ર અમદાવાદ જિલ્લામાં મહાઅભિયાન હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર :- અમિત હળવદીયા (વિરમગામ)