છોટાઉદેપુર તા.૧૫- સમગ્ર દેશમાં કોરોના વાયરસ COVID-19 ના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાંથી આવતા મજૂરો અને અન્ય લોકોને રહેવા અને જમવાની સુવિધા સુવિધા આપવામાં આવી રહી છે. જિલ્લા પ્રશાસન દ્વારા આદર્શ નિવાસી, વસેડી ખાતે બનાવવામાં આવેલું શેલ્ટર હોમ આશ્રય મેળવનારા માટે હે્પ્પી હોમ બન્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કર્યા બાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના શહેરી વિસ્તારમાં કામ ધંધા અને મજુરી અર્થે ગયેલા લોકો વતનમાં જવા નિકળતા લોકડાઉનના ચુસ્ત પાલન અર્થે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ લોકોને છોટાઉદેપુર ખાતે રોકી લઇ તેમને વસેડી શેલ્ટર હોમ ખાતે રાખવામાં આવ્યા છે. અહીં આશ્રય મેળવનારાઓને કોઇ પ્રકારની તકલીફ ન પડે એની પુરતી કાળજી વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી રહી છે. શેલ્ટર હોમમાં મળતી સુવિધાઓ અંગે વાત કરતા ઉદયપુર રાજસ્થાનના ચુનીલાલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમે લોકો મુંબઇ ખાતે આઇસ્ક્રીમનો બિઝનેસ કરીએ છીએ. લોકડાઉન જાહેર થવાને કારણે અમારો ધંધો બંધ થઇ જતા અમે રાજસ્થાન જવા માટે નિકળ્યા હતા. છોટાઉદેપુર પહોંચ્યા ત્યારે છોટાઉદેપુર જિલ્લા પ્રશાસને અમને રોકયા અને અહીં આ શેલ્ટર હોમમાં આશરો આપ્યો. અહીં અમને તમામ રહેવા જમવા સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. પ્રશાસન દ્વારા પુરી પાડવામાં આવતી સુવિધાઓથી સારી છે. રહેવાનું અને જમવાનું તથા ચા-નાસ્તો પણ આપવામાં આવે છે એમ જણાવી તેમણે સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓથી સંતોષ વ્યકત કર્યો હતો. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વાઘટાંડા ગામના સંજયભાઇ બામણિયાએ જણાવ્યું હતું કે, અમે સુરત મજુરી કામે ગયા હતા. લોકડાઉન થવાને કારણે અમે સુરતથી ચાલતા ચાલતા ગામ જવા નિકળ્યા હતા. છોટાઉદેપુર ખાતે અમને અહીં શેલ્ટરહોમમાં લાવવામાં આવ્યા હતા. અહીં અમને રેવા જમવાની સાથે રમત ગમત માટેના સાધનો પણ આપ્યા છે. આ ઉપરાંત મનોરંજન માટે ટી.વી પણ છે. જિલ્લા પ્રશાસન અમારી સારી કાળજી રાખે છે એમ જણાવ્યું હતું. અહીં આ શેલ્ટરોહમમાં રહેતા તમામ આશ્રય મેળવનારાઓ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરે છે.
ઇમરાન સિંધી..પાવીજેતપુર