વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લોકસુવિધાના ભાગરૂપે ગોરવા વિસ્તારમાં રૂ. ૩.૮૦ કરોડના ખર્ચે કૃષ્ણ સાગર તળાવના બ્યુટીફિકેશન કામ તથા ગોરવામાં રૂ. ૧.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત શાકમાર્કેટનું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે, ખેલ રાજ્યમંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મેયરશ્રી ભરત ડાંગરની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યુ હતું. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ કે કૃષ્ણ સાગર તળાવનું બ્યુટીફિકેશન થતા આ વિસ્તારના નાગરિકોને હરવા ફરવાનું સ્થળ મળવા સાથે તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થશે. શહેરના ૨૧ જેટલા તળાવ સુધારણાના કામો હાથ પર લેવા બદલ તેમણે મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તથા મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યુ હતું. આ અવસરે ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઇ સુખડીયા, પૂર્વ ધારાસભ્યશ્રી ભૂપેન્દ્ર લાખાવાલા, નગરસેવકો, મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિનોદ રાવ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને ગોરવા વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.