દેશમાં સરકાર બદલાય છે તો મહાપુરુષો અંગેનો દૃષ્ટિકોણ પણ બદલાઈ જાય છે. રાજસ્થાનમાં અગાઉની ભાજપ સરકારે શાળાના પાઠ્ય પુસ્તકોમાં ફેરફાર કરીને વીર સાવરકરને મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સંગ્રામના યોદ્ધા ગણાવ્યા હતાં.
જોકે, હવે કોંગ્રેસની સરકાર સત્તામાં આવી છે, તો પાઠ્યપુસ્તકો બદલીને વીર સાવરકરને પાઠ્યપુસ્તકોના અભ્યાસક્રમ સાથે જોડી દીધા છે અને સાવરકર અંગ્રજોના જુલમથી તંગ આવીને ચાર વખત માફી માંગીને જેલમાંથી બહાર આવ્યા હતાં. રાજસ્થાનની સ્કૂલોમાં ધોરણ ૧૦ના ભાગ-૩ના પાઠ્ય પુસ્તકોમાં દેશના મહાપુરુષોના જીવન અંગે ભણાવવામાં આવે છે.
ભાજપ સરકારે મહાપુરુષોના પ્રકરણમાંથી જવાહરલાલ નહેરુને ગાયબ કરી દીધા હતાં. સાથે વીર સાવરકર પર એક પ્રકરણ લખ્યું હતું, જેમાં તેમને મહાન સ્વતંત્રતા સેનાની ગણાવ્યા હતાં. સત્તામાં આવતાં કોંગ્રેસ સરકારે જાહેરાત કરી હતી કે ભાજપ સરકારે જે પાઠ્ય પુસ્તકો બદલ્યા છે, તેની સમીક્ષા કરાશે. અભ્યાસક્રમમાં ફેરફાર થવાના કારણે ભાજપના નેતાઓ આક્રોશમાં છે.આ મામલામાં રાજસ્થાન સરકારના શિક્ષણમંત્રી ગોવિંદ સિંહે કહ્યું કે, સરકાર પાઠ્યપુસ્તકો તૈયાર કરતી નથી, એ માટે શિક્ષણશાસ્ત્રીઓની એક કમિટી છે અને શિક્ષણવિદો નક્કી કરે છે કે શું ભણાવવું જોઈએ. સરકાર પાઠ્યપુસ્તકો સંદર્ભે દરમિયાનગિરી કરતી નથી.