આખરે ૧૦ વર્ષ બાદ બોટાદ જીલ્લાના ગઢડા સ્વામીનારાયણ મંદિરની ચૂંટણી યોજાશે. ચૂંટણીને લઈ આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે વિવાદ ચાલતો હતો. પરંતુ હવે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, હવે ગઢડા સ્વામિનારાયણ મંદિરની અત્યંત પ્રતિષ્ઠિત ચૂંટણી તા.૫મી મેના રોજ યોજાશે. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી ચર્ચાનું કેન્દ્ર બની રહેશે. કારણ કે, આ બહુ પ્રતિષ્ઠાભર્યો અને વર્ચસ્વની લડાઇનો જંગ મનાય છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી જાહેર થતાં જ હવે આચાર્ય પક્ષ અને દેવ પક્ષ તરફથી ચૂંટણી જીતવા માટેના પ્રયાસોની રણનીતિ તૈયાર કરી દેવાઇ છે અને આગામી દિવસોમાં તેની અમલવારી દેખાશે પણ ખરી. ખાસ કરીને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ ચૂંટણીને લઇ ભારે ઉત્તેજના અને ઉત્સુકતા છવાયેલી જોવા મળશે. ગઢડા સવામિનારાયણ મંદિરની ચુટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. તારીખ ૫-૫-૨૦૧૯ના રોજ રવિવારે મતદાન યોજાશે. આ ચૂંટણી માટે તા.૨૨ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે કે પાંચમી મેના રોજ મતદાન પૂર્ણ થશે. ચૂંટણી પુરી થયા બાદ એ જ દિવસે રાતે ૮ વાગ્યે મત ગણતરી થશે અને પરિણામો જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દસ વર્ષથી ચૂંટણીને લઈને આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે વિવાદ ચાલતો હતો. જેને લઈને ચૂંટણી યોજી શકાઈ નહોતી. પરંતુ આખરે ૧૦ વર્ષ બાદ ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.