વેરાવળ ખાતે આઇ.સી.ડી.એસ. ઘટક ૧ અને ૨ દ્વારા વેરાવળ ખારવા સમાજની વાડી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ પુનીબેન સોલંકીનાં અધ્યક્ષસ્થાને સ્તનપાન સપ્તાહ કાર્યશાળા યોજાઇ હતી. જેમાં સ્તનપાનનું મહત્વ, બાળકોનાં સ્વાસ્થ્યને લગતું અને વિવિધ યોજનાઓ વિશે તજજ્ઞો દ્વારા ઉપસ્થિત બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યં હતું.
આ કાર્યક્રમમા પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટરનાં કાઉન્સેલર અલ્કાબેન મકવાણા, કો-ઓર્ડીનેટર જ્યોત્સનાબેન અને ફુડ ન્યુટ્રીશયન કાજલબેન દ્વારા સ્તનપાનએ સ્વસ્થ જીવનનો પાયો છે. બાળકોના જીવનમાં માતાનું પ્રથમ દુધ પોષણક્ષમ હોય છે. જેથી માતાઓએ છ મહિના સુધી માત્ર પોતાનું જ દુધ આપવુ જોઇએ. બાળકોને બહારનાં દુધમાં માતાનાં દુધ જેટલું પોષણ મળતું નથી. જેથી બાળકોને બહારનું દુધ આપવાનું ટાળવું જોઇએ અને આ દુધ બાળકોને બે વર્ષ સુધી આપવાથી બાળકોની તંદુરસ્તીમાં વધારો થાય છે, તેમ જણાવી કુપોષણ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના તેમજ મહિલાલક્ષી કાયદાકીય જોગવાઇઓનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉપરાંત આશાવર્કર બહેનો દ્વારા નાટક તેમજ સ્તનપાનની પધ્ધતિઓ અને સમસ્યા વિશે વિડીયો દેખાડી બહેનોને સ્તનપાન બાળકનાં જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે તેનાથી વાકેફ કરાયા હતા.
આ કાર્યક્રમમાં ખારવા સમાજના આગેવાન જીતુભાઇ કુહાડા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પ્રિયંકાબેન પરમાર, જિલ્લા મહિલા કલ્યાણ કેન્દ્રનાં સંચાલક શારદાબેન રાખોલીયા, કુટુંબ સલાહ કેન્દ્રનાં કાઉન્સેલર ભારતીબેન મારૂ સહિત બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહયા હતા કાર્યક્રમનું સંચાલન કૃષ્ણનગર પ્રા.શાળાનાં આચાર્યશ્રી કિશનભાઇએ અને આભારવિધિ સી.ડી.પી.ઓ.મંજુલાબેન મકવાણા કરી હતી.
રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ