ઈન્ટેલિજન્સ એજન્સીઓને ઈનપુટ્સ મળ્યા છે કે જૈશ-એ-મોહમ્મદ દીનાનગર આતંકી હુમલાનું પુનરાવર્તન કરવાની ફિરાકમાં છે. સ્લીપિંગ સેલ દ્વારા આઈએસઆઈએ સીમાવર્તી વિસ્તારોની સરકારી ઈમારતો અને પોલીસ સ્ટેશનોની રેકી પણ કરાવી છે. સાવધાનીના આગોતરા પગલા હેઠળ ગુરુદાસપુર અને પઠાનકોટની નજીકના સીમાવર્તી પોલીસ સ્ટેશનોની ચોકસાઈ પણ વધારી દેવામાં આવી છે.
એજન્સીઓને ઈનપુટ્સ મળ્યા છે કે આઈએસઆઈએ જૈશ-એ-મોહમ્મદને ખાસ કરીને સીમાવર્તી ક્ષેત્રની સેના અને પોલીસ વિભાગ સંબંધિત ઈમારતોને નિશાન બનાવવાનો ટાર્ગેટ આપ્યો છે. આ પહેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ ૨૭ જુલાઈ-૨૦૧૫ના રોજ દીનાનગર ખાતે એક મોટો આતંકવાદી હુમલો કર્યો હતો જેમાં પંજાબ પોલીસના એસપી બલજીતસિંહ અને હોમગાર્ડના ત્રણ જવાનો શહીદ થય હતા. આ હુમલાનો સાત નાગરિકો પણ ભોગ બન્યા હતા. તો પહેલી જાન્યુઆરી-૨૦૧૬ના રોજ રાત્રે પઠાનકોટ એરબેઝ ખાતે પણ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રો મુજબ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ સીમાવર્તી વિસ્તારોમાં સેના અને પોલીસ વિભાગની ઈમારતોની સુરક્ષાને વધારી દેવામાં આવી છે.
જૈશ-એ-મોહમ્મદનો કુખ્યાત આતંકવાદી ઈબ્રાહીમ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પીઓકેની એલઓસી પરથી ઘૂસણખોરી કરી ચુક્યો છે. આતંકવાદી ઈબ્રાહીમ આતંકી હુમલા માટે મોડ્યુલ તૈયાર કરી રહ્યો છે. આમા ખાલિસ્તાની આતંકવાદી રણજીતસિંહ નીટા આતંકી ઈબ્રાહીમની મદદ કરી રહ્યો છે. આતંકવાદીઓનું પગેરું દબાવવાની પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા કોશિશો થઈ રહી છે.
ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ સીમાવર્તી પોલીસ સ્ટેશનોની પોસ્ટો પર સંત્રીઓની સંખ્યામાં પણ વધારો કરાયો છે અને આ પોસ્ટોને બુલેટપ્રુફ પણ બનાવાઈ રહી છે. આ પહેલા સીમાવર્તી પોલીસ સ્ટેશનોની સુરક્ષાની દ્રષ્ટિએ બુલેટ પ્રુફ વાહનો પણ ઉપલબ્ધ કરાવાયા છે.
પાછલી પોસ્ટ