કોંગ્રેસના નેતા અને પંજાબમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુની પત્ની અને પૂર્વ ધારાસભ્ય નવજોત કૌર સિદ્ધુએ આગામી લોકસભા ચૂંટણીમાં ચંદીગઢ બેઠક પર કોંગ્રેસ તરફથી ટિકિટ મેળવવા માટે દાવો કર્યો છે. નવજોત કૌર દ્વારા દાવો કરવામાં આવતા, આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોંગ્રેસના ટિકિટ માટેના દાવેદારોની સંખ્યા ૩ પર પહોંચી છે. પૂર્વ રેલવે મંત્રી પવનકુમાર બંસલ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી મનિષ તિવારી પણ ચંદીગઢ બેઠક પરના ઉમેદવારોની રેસમાં સામેલ છે.
હાલ ભાજપ સાંસદ કિરણ ખેર લોકસભામાં ચંદીગઢનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. અમૃતસર (પૂર્વ) બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય સંસદીય સચિવ નવજોત કૌરે ચંદીગઢ કોંગ્રેસને પોતાનું આવેદન સોંપી દીધું છે.
નવજોત કૌરે ચંદીગઢ કોંગ્રેસના અધ્યક્ષ પ્રદિપ છાબડાને લખ્યું કે, હું આગામી લોકસભા ચૂંટણીમાં કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવવા માટે મારુ આવેદન સોંપી રહી છું. મને આશા છે કે, તમે મારા આવેદન અંગે વિચારશો અને મને આ સુંદર શહેરના લોકોની સેવા કરવાની તક આપશો.
નવજોત કૌરે જણાવ્યું કે, અહીના પ્રતિભાશાળી યુવકોનું પલાયન રોકવા માટે અહીં જ રોજગાર ઉત્પન્ન કરવાનો મારો એજન્ડા હશે. બંસલ અને તિવારીને પણ ટિકિટ આપવા અંગે નવજોતે જણાવ્યું કે, આ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ કરશે. જો પવન બંસલને ટિકિટ મળશે, તો હું તેમની મદદ કરવા માટે હંમેશા તત્પર રહીશ.
ચંદીગઢથી ૪ વાર સાંસદ રહી ચૂકેલા બંસલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પાર્ટી હાઈકમાન્ડ મારા પર વિશ્વાસ મૂકશે અને મને ટિકિટ આપશે. તેમણે વધુમાં જણાવ્યું કે, તમામ લોકોને ટિકિટ મેળવવા માટે આવેદન કરવાનો અધિકાર છે.
આગળની પોસ્ટ