ગીરગઢડાના ખીલાવડ ગામમાંથી બે માસના સિંહબાળનો પ્લાસ્ટિકની બેગમાંથી મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઇ છે. પ્લાસ્ટિકની બેગમાંથી બે માસના સિંહબાળનો મૃતદેહ મળી આવ્યાનું જસાધાર રેન્જ આરએફઓ પંડ્યાને જાણ થઇ હતી. આથી વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. સિંહબાળની હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું હતું.
ખીલાવડ ગામમાં ત્રણ સિંહણ સિંહબાળને શોધતી શોધતી ખીલાવડ ગામે આવી પહોંચી હતી અને પાંચ ગાયોનું મારણ કર્યું હતું. આથી આ સમયે સિંહબાળનો પ્લાસ્ટિકની બેગમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગે મૃતદેહને જસાધાર એનિમલ કેર સેન્ટરે ખસેડ્યો હતો. અહીં વેટરનરી તબીબે નિરીક્ષણ કરતા સિંહબાળનું શોર્ટસર્કિટ, ઇન્ફાઇટ અને ડૂબી જવાથી મોત ન થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પ્રથમ દ્રષ્ટીએ આ સિંહબાળની હત્યા થયાની આશંકા એટલા માટે સેવાઇ રહી છે કે, મૃતદેહ રેવન્યું વિસ્તારમાંથી પ્લાસ્ટિકની બેગમાંથી મળી આવ્યો છે. વનવિભાગના સૂત્રોમાંથી મળતી વિગત મુજબ સિંહબાળ પર કોઇએ બોથડ પદાર્થનો ઘા માર્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. પરંતુ સાચી હકીકત તો સિંહબાળના મૃતદેહનું પેનલ પીએમ થયા પછી જ મોતનું સાચુ કારણ જાણી શકાશે. હાલ એફએસએલની ટીમ પણ પહોંચી ગઇ છે. આ સિંહબાળ વિખૂટું પડી ગયું હોય અને રેવન્યુ વિસ્તારમાં આવી ગયું હોય તેમ જાણવા મળ્યું હતું.
આગળની પોસ્ટ