મુક્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન આગામી ત્રણ વર્ષ સુધી ચાલુ રાખીને રાજ્યભરના તળાવો ઊંડા કરી ભાવિ પેઢીને આવનારા ૫૦ વર્ષ સુધી જળ સમૃદ્ધિનો વારસો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે આગામી વરસાદી મોસમ પહેલા તળાવો ઊંડા કરવા, નહેરોમાંથી કાંપ કાઢવા સહિતની જળસંચય કામગીરી ૨૪-૭ ચાલુ રાખવા જિલ્લા તંત્રોને વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યું હતું. મુખ્યમંત્રીએ સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજ્યના ૬ જિલ્લાના ગામોમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ અને કામોનું સીધું મોનિટરિંગ જિલ્લા સ્તરે ડ્રોન ટેકનોલોજી અને મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી કમાન્ડ કન્ટ્રોલ વોલ ટેકનોલોજીના ઉપયોગથી કર્યું હતું. તેમણે રાજકોટ જિલ્લાના ગોમટા, તાપીના ચીખલવાવ, સાબરકાંઠાના કમાલપુર, જૂનાગઢના નારેડી, દાહોદના દુધિયા અને નર્મદાના ભાડમ ગામોમાં ચાલી રહેલા તળાવો ઊંડા કરવાના સ્થળ પર જ ઉપસ્થિત ગ્રામજનો, સરપંચો, અગ્રણીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આવનારી વરસાદી મોસમ પહેલા આ અભિયાનના કામોથી જળસંચયમાં વૃદ્ધિ માટે જરૂર જણાય ત્યાં વધારાનો મેનપાવર, મશીનરી, જેસીબી, ટ્રેક્ટર વગેરે સઘન બનાવીને પણ કામો પૂર્ણ કરવા છે. આ અભિયાના કામો માટે સરકાર નાણાંની કોઇ કચાશ રહેવા દેશે નહીં તેમ સ્પષ્ટપણે જણાવતા વિજય રૂપાણીએ કહ્યું કે, લોક ફાળો અને લોકસહયોગ પણ આ કાર્યોમાં મોટાપાયે પ્રેરિત થયો છે. મુખ્યમંત્રી સાથેના આ સીધા સંવાદમાં રાજકોટના ગોમટા, સાબરકાંઠાના કમાલપુર, તાપીના ચીખલાવાવાના સરપંચો એ આ અભિયાન અભૂતપૂર્વ જળસંચય અભિયાન બન્યું છે તેમજ તળાવો ઉંડા કરવામાંથી નિકળતી માટી ખેડૂતોને વિનામૂલ્યે આપીને સરકારે નવી માટી રૂપી ખાતર ખેતરોમાં આપવાનો જે કલ્યાણ ભાવ દર્શાવ્યો છે તેની પ્રશંસા કરી હતી. ગ્રામજનોએ પણ આ જળસંચયના કામોને પરિણામે આવનારા ચોમાસામાં તળાવોમાં વધુ પાણી સંગ્રહ થઇ શકવાથી જળસંકટ દૂર થશે અને ખેતીવાડી માટે પુરતું પાણી મળશે તેવા હર્ષ ભર્યા પ્રતિસાદ આપ્યા હતા. મુખ્યમંત્રીએ ગોમટાના પ્રગતિશીલ કૃષિકારે આવા અભિયાન માટે અલાયદુ ભંડોળ રચીને તેમાં આવતું દાન જળસંચય વૃદ્ધિના કામો માટે જ વર્ષભર ઉપયોગમાં લેવાય તેવા કરેલા સૂચનનો સકારાત્મક પ્રતિભાવ આપતા આ દિશામાં સરકાર વિચારાધીન હોવાનો નિર્દેશ આપ્યો હતો.
તાપીના ચીખલવાવના નાગરિકોએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં તળાવ ઊંડા કરવાની કામગીરી સ્વાધ્યાય પરિવારના સહયોગતી હાથ ધરાઈ ત્યારે તળાવ ફાટે તો ખેતીને નુકસાન થસે તેવી ભીતિ રાખનારાઓ તે સમયે જળસંચયથી ખેતીને થયેલા ફાયદાને પરિણામે હવે ઉમંગભેર આ અભિયાનમાં જોડાઈને પ્રતિસાદ આપી રહ્યા છે. નર્મદા જિલ્લામાં તળાવો ઊંડા કરવાને પરિણામે તળાવની માટી ખેડૂતોને ખાતર તરીકે મળશે તથા તળાવમાં જળસંગ્રહ થતાં મત્સ્ય ઉત્પાદન-ઉછેર દ્વારા પણ રોજગારીની તકો વધશે તેમ ગ્રામજનોએ આ અભિયાનને વધાવતા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ જળ અભિયાનમાં શ્રમદાન કરતા શ્રમિકોને મનરેગા તહેત રોજગારી મળી રહે તે માટે તેમજ ગામના મોટા તળાવો હોય ત્યાં સતત કામગીરી કરી વધુ જળસંગ્રહ થાય તે રીતે સુવ્યવસ્થિત આયોજન માટેના પ્રેકર સૂચનો પણ કર્યા હતા.