જે વ્યક્તિઓ ડિપ્રેશનનો શિકાર છે તેની યાદશક્તિમાં મોટી ઉંમરે ઘટાડો થાય છે તેવું નવું સંશોધનનું તારણ છે. અમેરિકામાં ૨૫ ટકા લોકો હાલ ડિપ્રેશન અને અલ્ઝાઇમર જેવા રોગનો શિકાર બન્યાં છે, તેમનાં મગજમાં ઝડપથી ફેરફારો થાય છે અને તેમનું મગજ વધુ ઝડપથી વૃદ્ધાવસ્થા અનુભવે છે. યુનિવર્સિટી ઓફ મિયામીનો અભ્યાસ એવું સૂચવે છે કે, ડિપ્રેશન અને ડેમેન્શિયાને પરસ્પર સંબંધ છે અને તેને કારણે વ્યક્તિ ઝડપથી તેની યાદશક્તિ ગુમાવે છે. બંનેનાં લક્ષણો સરખાં હોવાથી વ્યક્તિને ડિપ્રેશન થયું છે કે ડેમેન્શિયા તેનું તારણ કાઢવું મુશ્કેલ છે. મોટી ઉંમરનાં લોકોમાં જો વહેલાસર ઝડપી સારવાર કરવામાં આવે તો માનસિક સારવાર દ્વારા વ્યક્તિને થતી ડેમેન્શિયાની અસર રોકી શકાય છે. ડિપ્રેશનની વહેલાસર સારવારથી અલ્ઝાઇમરને પણ રોકી શકાય છે. અમેરિકામાં ડિપ્રેશન અને અલ્ઝાઇમરના રોગીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એમિલોઇડ બિટા પ્રોટીન અલ્ઝાઇમરના રોગને વકરાવે છે અત્યાર સુધી આપણે એવું જાણતાં હતાં કે, વ્યક્તિનાં મગજમાં એકઠું થતું એમિલોઇડ બિટા પ્રોટીન અલ્ઝાઇમરના રોગને વકરાવે છે અને ન્યૂરોન્સને મગજ સાથે સાંકળતાં અને સંપર્ક કરતાં રોકે છે. મગજને જે રીતે સંકેતો મળવા જોઈએ તે મળતા નથી, આથી વ્યક્તિ તેની યાદશક્તિ ગુમાવે છે, જેને અલ્ઝાઇમર થયું હોય તે વ્યક્તિ ડિપ્રેશનનો પણ શિકાર હોય છે. કેટલાક અભ્યાસમાં યાદશક્તિમાં ઘટાડાને ડિપ્રેશન સાથે સાંકળવામાં આવેલ છે. જે વ્યક્તિ ડિપ્રેશન અને અલ્ઝાઇમરનો શિકાર બને છે તેને કોઈ કામગીરી કે પ્રવૃત્તિ કરવામાં રસ રહેતો નથી, કોઈપણ કામમાં ધ્યાન પરોવી શકતી નથી, એકાગ્રતા રાખી શકતી નથી કે લાંબુ વિચારી શકતી નથી. તેણે વાહનની કે ઘરની ચાવી ક્યાં મૂકી તે યાદ રહેતું નથી કે અગાઉના દિવસે તેણે શું કર્યું હતું તે પણ તેને યાદ રહેતું નથી.