ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસપક્ષના નેતા(વિરોધ પક્ષના નેતા) તરીકે યોગ્ય ઉમેદવારની પસંદગીને લઇ કોંગ્રેસના રાષ્ટ્રીય નીરીક્ષકોએ તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો સાથે યોજેલી મેરેથોન બેઠકો અને તેમના અભિપ્રાયો, ચર્ચા વિચારણા બાદ વિગતવાર અહેવાલ કોંગ્રેસ હાઇકમાન્ડને સુપ્રત કરી દીધો છે. કોંગી હાઇકમાન્ડ દ્વારા નામોને લઇ ભારે મનોમંથન ચાલી રહ્યું છે અને રાજયની આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી, લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં લઇ એકાદ-બે દિવસમાં કોંગ્રેસ પક્ષના નેતાનું નામ જાહેર કરી દેવાય તેવી શકયતા છે. બીજીબાજુ, ગુજરાત કોંગ્રેસમાં આજે પણ વિરોધપક્ષના નેતાના નામને લઇ ભારે ઇન્તેજારી અને સસ્પેન્સ વચ્ચે કશ્મકશ જોવા મળી હતી. જો છેલ્લી ઘડીયે કોઇ ફેરફાર ના થાય તો આ વખતે યુુવા નેતા અને રાહુલ ગાંધીના નજીકના મનાતા પરેશ ધાનાણીનું નામ કોંગ્રેસ પક્ષના નેતા તરીકે નક્કી છે. જો કે, વિરોધપક્ષના નેતાની આ રેસમાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ અને મોહનસિંહ રાઠવા પણ મેદાનમાં ઉતરી આવતાં પક્ષના રાષ્ટ્રીય નીરીક્ષકોએ તેમને ઠપકો આપી વિવાદ ખાળવાનો પ્રયાસ કર્યો હતો તે બાબત પણ એટલી જ વાસ્તવિક છે. રાષ્ટ્રીય નીરીક્ષકો જીતેન્દ્રસિંહ અને પ્રભારી અશોક ગેહલોત સહિતના નેતાઓએ ચૂંટાયેલા ધારાસભ્યો અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓની વાત અને રજૂઆત સાંભળ્યા હતા અને હવે તેઓએ કોંગ્રેસ હાઇકમાન્ડને સમગ્ર રિપોર્ટ રજૂ કરી દેતાં હાઇકમાન્ડના નિર્ણય પર સૌની નજર મંડાઇ છે. હાઇકમાન્ડ એટલે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જ કોંગ્રેસપક્ષના નેતા(વિપક્ષના નેતા)નું નામ નક્કી કરશે. એકાદ-બે દિવસમાં કોંગ્રેસ પક્ષના નેતાનું નામ જાહેર કરી દેવાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. ૫૪માંથી ૩૦ બેઠકો મેળવી કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં ભાજપને જોરદાર પછડાટ આપી હતી. આ વખતે ભૌગોલિક સંતુલન માટે પણ વિપક્ષી નેતાનું પદ સૌરાષ્ટ્રને એટલે કે, પરેશ ધાનાણીને ફાળવાય તેવી પ્રબળ શકયતા છે. બીજીબાજુ હાર્દિક પટેલે પણ પરેશ ધાનાણીને કોંગ્રેસ પક્ષના નેતા બનાવાય તેવી લાગણી વ્યકત કરી છે, તેથી હવે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોથી માંડી સ્થાનિક નેતાઓ વિરોધપક્ષના નેતા તરીકે કોને જાહેર કરાય છે તેની આતુરતાપૂર્વક રાહ જોઇને બેઠા છે.
પાછલી પોસ્ટ