કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને વિજળી મંત્રી ડીકે શિવકુમાર ઉપર આશરે ૪૪૭ કરોડ રૂપિયાના એક કૌભાંડમાં સામેલ હોવાનો ગંભીર આક્ષેપ ભાજપે મુકતા કર્ણાટકની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. પાર્ટીએ આ મામલાની તપાસ સીબીઆઈ પાસેથી કરાવવાની માંગણી પણ કરી દીધી છે. આ કૌભાંડ સરકારી કંપની કર્ણાટક ઉર્જા નિગમ લિમિટેડ સાથે સંબંધિત છે. પ્રદેશ ભાજપ પ્રમુખ બીએસ યેદીયુરપ્પાએ બેંગ્લોરમાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં કોલસા કૌભાંડ પર હાઈકોર્ટના નિર્ણય બાદ કેપીસીએલ દ્વારા એક કોલસા બ્લોકની ફરી ફાળવણી માટે ૪૪૭ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે આ પ્રકારની કોઇપણ લેવડદેવડ કરવામાં આવી ન હતી. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ આ મામલો સીબીઆઈને સોંપી દેવાની જોરદાર માંગણી કરીને કહ્યું છે કે, અમે આ ચુકવણી કરવા માટે બંને ઉપર લાંચ લેવાના આક્ષેપ મુકી રહ્યા છે. જો કે, પ્રદેશના વિજળી મંત્રી શિવકુમારે આ આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું હતું કે, યેદીયુરપ્પા લોકોને ગેરમાર્ગે દોરવાનુૂં કામ કરી રહ્યા છે પરંતુ આ આક્ષેપ તેમને ભારે પડશે અને કોઇપણ પ્રકારની તપાસ અને જાહેર ચર્ચા માટે તૈયાર છીએ. કેન્દ્ર સરકારને દંડ અદા કરવા માટેનો નિર્ણય રાજ્યના હિતમાં લેવામાં આવ્યો હતો. કોઇ અંગત હિતમાં નિર્ણય કરાયો ન હતો. રાજ્યમાં વિજળી એકમોને કોલસાની સુવિધા સરળરીતે થાય તેની ખાતરી કરવા આ નિર્ણય લેવાયો હતો. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના કારોબારી પ્રમુખ દિનેશ ગુડ્ડુએ ભાજપના આક્ષેપોને ફગાવતા કહ્યું છે કે, રાજકીય લાભ ઉઠાવવા માટે પાર્ટી આ પ્રકારના આક્ષેપો કરી રહી છે. રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. હાલમાં જ શિવકુમાર સાથે જોડાયેલા ૮૦ સ્થળો પર દરોડા પડાયા હતા.
પાછલી પોસ્ટ