પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ પરિવારોની મહિલાઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવી ચુલા દ્વારા કરાતી પરંપરાગત રસોઈની તકલીફોમાંથી દુર કરવા ‘‘ઉજ્જવલા’’ યોજના શરુ કરેલી છે. ધનિક પરિવારો દ્વારા જતી કરવામાં આવેલી સબસિડી ગરીબ પરિવારોને નવા ગેસ કનેક્શન દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પણ ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ મળી રહે તે માટેના પ્રયત્નો કરાઇ રહયા છે.
રાજકોટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છોટુનગર ખાતે ૧૦૦ ગરીબ પરિવારોને નિ:શુલ્ક ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતાં. આ પ્રસંગે કલેકટર ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ‘‘ઉજ્જવલા’’ યોજના અંતર્ગત એક પણ પરિવાર ગેસ કનેક્શનથી વંચિત નહી રહે. આ યોજનાનો લાભ આશરે ૫૮૦૦૦ પરિવારોને મળી રહે તે માટે રાજકોટ જિલ્લાનું વહીવટી તંત્ર સમગ્ર દેશમાં સૌથી ઝડપી કાર્યરત હોવાનું પણ ડો. પાંડેએ જણાવ્યું હતું.
ડે. મેયર ડો. દર્શિતાબેન શાહે લાભાર્થીઓને આભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે હવે મહિલાઓને ચુલા ફુંકવાની ઝંઝટમાથી મુક્તિ મળશે. સમય અને શક્તિની બચત થતા મહિલાઓ અન્ય કાર્ય સારી રીતે પરિપૂર્ણ કરી શકશે તેમ ડો. દર્શિતાબેને ઉમેર્યું હતું.
શ્રીમતી અંજલિબેન રૂપાણીએ જણાવ્યું હતું કે,મહિલાઓ ચુલા પર રસોઈ કરતી હોય તે દરમ્યાન સૌથી વધુ તકલીફ થતી હોય છે. તેમના સ્વાસ્થ્ય પર પણ આ પરિસ્થિતિની વિપરીત અસર પડતી હોય છે તેમજ લાકડાના બળતણ થકી પર્યાવરણને પણ નુકશાન થતું હોય છે. માટે જ ‘‘ઉજ્જવલા’’ યોજના મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે. પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણી સૌની હોવાનું જણાવતા તેમણે કહ્યુ હતું કે આપણે વધુ ને વધુ વૃક્ષો ઉછેરવા જોઈએ.
છોટુનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર, શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર, શ્રી ધર્મેન્દ્રભાઈ મીરાણી, શ્રી કમલેશભાઈ રાઠોડ, પુરવઠા શાખાના અધિકારીઓશ્રી રાદડિયા સહીત મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.