ગુજરાતમાં ઘણા સમયથી પેપર ફુટવાની અનેક ઘટનાઓ બનતી હતી, ત્યારે ગુજરાત સરકારે પરીક્ષા પદ્ધતિ મજબૂત કરવા પ્રયાસ કર્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
હવેથી પરીક્ષા સંપૂર્ણ પેપરલેસ રહેશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે. જેના માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એજન્સી પણ નક્કી કરી દેવાઈ છે. પરીક્ષાની જવાબદારી દેશની પ્રતિષ્ઠિત ટેક કંપની ટીસીએસને સોંપાશે. કંપની દ્વારા એકસાથે ૧૫ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઓનલાઈન પદ્ધતિથી સૌપ્રથમ બીટગાર્ડની પરીક્ષા યોજાશે. જેમાં ૪.૫ લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે.
આ પરીક્ષા એક સપ્તાહથી વધુ સમય સુધી ચાલશે. જો કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષા ઓનલાઈન પદ્ધતિથી લેવાવાના કારણે અનેક ફાયદા થશે. તેના પરિણામ ઝડપી આવશે, પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા રહેશે, પેપર ફૂટવાની શક્યતા નહિવત રહેશે, કાગળ અને પ્રિન્ટિંગનો ખર્ચ બચશે, સાથે જ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચશે અને વ્યવસ્થા જળવાશે. સૌથી અગત્યનો ફાયદો એ છે કે પેપરની ગુપ્તતા જળવાઈ રહેશે.
પાછલી પોસ્ટ