ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી એ.કે. ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં આજે મળી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રીએ સરકારી બાકી લેણાની વસુલાત માટે ઝૂંબેશ ઉપાડી વસુલાત પૂર્ણ કરવા જણાવ્યુ હતું. તેમણે કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી. કચેરીના બાકી પારાઓનો નિકાલ કરવા, આર.ટી.આઈ.ની અરજીઓ, તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.
આ બેઠકમાં ધારાસભ્યશ્રી નૌશાદભાઈ સોલંકી અને ઋત્વિકભાઇ મકવાણાએ શહેરી વિસ્તારમાં બાંધકામ અંતર્ગત બી.યુ. પરમીશન, જિલ્લામાં આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓના પગાર બાબતે, આર.ટી.ઈ. અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ પ્રક્રિયા બાબતે, બિન ખેતી સંદર્ભે જમીન માપણીની કામગીરી, જિલ્લામાં અપાતી સમાજ સુરક્ષાની સહાય તેમજ દુધ મંડળીઓને ફાળવેલ જગ્યા બાબતે વિવિધ પ્રશ્નો રજુ કર્યા હતા. કલેકટરશ્રીએ સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓને પ્રશ્નોનું સમયમર્યાદામાં નિકાલ કરવાની સુચના આપી હતી.
આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.કે.ગવ્હાણે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટરશ્રી ડી.આઈ. ભગલાણી, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.