કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ બાદ એચડી કુમારસ્વામીના નેતૃત્વમાં સરકાર રચાઇ ગયા બાદ પણ હજુ ખાતાઓની વહેંચણી થઇ શકી નથી. આજ કારણસર કેબિનેટ વિસ્તરણની યોજના પણ આગળ વધી શકી નથી. રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે બંને પક્ષો વચ્ચે મંત્રીઓના વિભાગોને લઇને જોરદાર સોદાબાબાજી ચાલી રહી છે. ખાસ કરીને નાણાં અને ગૃહ ખાતા જેવા મહત્વના ખાતાને લઇને બંને પાર્ટીઓ ગંભીર દેખાઇ રહી છે. સુત્રોએ કહ્યુ છે કે કર્ણાટક કોંગ્રેસના નેતા કેટલાક મહત્વના ખાતા પોતાની પાસે રાખવા માટે ઇચ્છુક છે. જેમાં નાણાં, ગૃહ, અને ઉદ્યોગનો સમાવેશ થાય છે. પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ, એક્સાઇઝ, બેંગલોર ડેવલપમેન્ટ એન્ડ પ્રાઇમરી એજ્યુકેશન સહિત કેટલાક અન્ય ખાતા પણ કોંગ્રેસ પોતાની પાસે રાખવા માટે ઇચ્છુક છે. જેડીએસની નજર પણ આ ખાતા પર કેન્દ્રિત થયેલી છે. ખાસ કરીને મુખ્યપ્રધાન કુમારસ્વામી કોઇ પણ કિંમતે નાણાં ખાતુ પોતાની પાસે રાખવા માટે ઇચ્છુક છે. ખેડુતોની દેવામાફી સહિત પોતાના ચૂંટણી વચનને પૂર્ણ કરી શકાય તે માટે આ ખાતાને જાળવી રાખવા માટે કુમારસ્વામી ઇચ્છુક છે. જેના કારણે કેબિનેટ વિસ્તરણની યોજના હાલમાં અટવાઇ પડી છે. કુમારસ્વામી અને જેડીએસ નેતા દાનિશ અલી આ મામલાને ઉકેલી લેવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, અશોક ગહેલોત, કેસી વેણુગોપાલ સાથે વાતચીત કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી વિવાદનો ઉકેલ આવ્યો નથી. જો કે જેડીએસ અને કોંગ્રેસના નેતાઓ દાવો કરી રહ્યા છે કે આગામી બે ત્રણ દિવસ દરમિયાન વિભાગોની વહેચણીને લઇને ઉભા થયેલા વિવાદને ઉકેલી લેવામાં આવનાર છે. કર્ણાટક કોંગ્રેસના નેતા વેણુગોપાલે કહ્યુ છે કે કુમારસ્વામી અને બીજા નેતાઓ સાથે તેમની વાતચીત થઇ ગઇ છે. કુમારસ્વામી પોતે કબુલાત કરી ચુક્યા છે કે જુદા જુદા ખાતાની ફાળવણીને લઇને કેટલાક વિવાદો છે.