ધીમે ધીમે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટેનો રાજકીય માહોલ વધુ ગાઢ બની રહેલો જણાય છે. ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ માહોલ બનાવવા માટે વિપક્ષી એકતાની ઝુંબેશ તેજ બની રહી છે. એક તરફ ભાજપ જીતની હેટ્રિક માટે ઉત્સુક છે તો બીજી બાજુ વિપક્ષી જૂથ નરેન્દ્ર મોદીને ફરી સત્તામાં આવતા અટકાવવા માટે જાળ બિછાવી રહ્યું છે.
ત્યારે બિહારમાં મહાગઠબંધનના બે ટોચના નેતાઓ મુખ્યમંત્રી નીતીશ કુમાર અને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ યાદવ રવિવારે સાંજે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાના છે. બંને નેતાઓ આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહે તેમ ઈચ્છતા હતા પરંતુ રાહુલ હાલ કેરળમાં છે અને તેઓ કોંગ્રેસની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે.
નીતીશ કુમાર અને સોનિયા ગાંધી છેલ્લી વખત ૨૦૧૫ના વર્ષમાં બિહારની ચૂંટણી પહેલા એક ઈફ્તાર દરમિયાન મળ્યા હતા. બિહાના મુખ્યમંત્રી આ મહિનાની શરૂઆતમાં પોતાના દિલ્હી પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીને મળ્યા હતા. તે સમયે સોનિયા ગાંધી સારવાર માટે વિદેશ પ્રવાસે હતા.
કોંગ્રેસે પોતાના આગામી અધ્યક્ષને પસંદ કરવાની કવાયત હાથ ધરી છે અને ગુરૂવારથી ચૂંટણી માટેની નામાંકન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. તેવામાં નીતીશ કુમાર અને લાલુ યાદવની સોનિયા ગાંધી સાથેની બેઠક મહત્વની બની રહે છે. આ બેઠક એક શિષ્ટાચાર મુલાકાત હોવાનું કહેવાઈ રહ્યું છે અને તેમાં કેટલાક ગંભીર વિષયો અંગે ચર્ચા થાય તેવી શક્યતા છે જેમાં મહાગઠબંધનને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો પણ સમાવેશ થાય છે.
નીતીશ કુમારે પોતાના પાછલા દિલ્હી પ્રવાસ દરમિયાન મોટા ભાગના પ્રમુખ વિપક્ષી નેતાઓની મુલાકાત કરી હતી જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, સપા પ્રમુખ અખિલેશ યાદવ અને વામપંથી નેતાઓના નામ સામેલ છે.