સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે ભાજપે ચૂંટણીમાં ભગવો લહેરાવવા ખાસ તૈયારીઓ કરી છે. ભાજપ હવે મંડળ સ્તરે ૧ લાખ જેટલી બેઠકો યોજી જનાધાર વધારવાની કવાયત કરશે.સહકારી ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. ભાજપ તેના માઈક્રો પ્લાનિંગ માટે જાણીતી છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભગવો લહેરાવવા ખાસ રણનીતિ અપનાવી છે. જે અંતર્ગત ભાજપ રાજ્યભરમાં ૧ લાખથી વધુ બેઠકો યોજી જનાધાર વધારશે. પ્રથમ એક મહિનામાં આઇટી, સોશિયલ મીડિયાના ૪૧ જિલ્લા મહાનગરમાં મંડળ સ્તરે ૫૭૯ વર્કશોપ યોજાશે. જેમાં સરકારની યોજના અને કરેલા કામોની માહિતી આપવામાં આવશે. જે બાદ ૧૬ થી ૨૬ જાન્યુઆરી સુધી તમામ મોરચા દરેક બુથ પર જઇને બે-બે બેઠક યોજશે.ભાજપ દ્વારા કી-વોટરની યાદી પણ તૈયાર કરાઇ છે, જે અંતર્ગત ભાજપ એ તમામ મતદારોનો બુથ સ્તરે જઇને સીધો સંપર્ક કરશે. બીજી તરફ સંઘ અને તેની ભગિની સંસ્થાઓ પણ ઘરે-ઘરે જઇને રામ મંદિર માટે ફંડ એકત્ર કરી લોકોને રામ મંદિર તેમજ હિન્દુ આસ્થા સાથે જોડવાનો પ્રયાસ કરશે. ભાજપ હવે રામ મંદિર સાથે આસ્થા ઉપરાંત રાષ્ટ્રવાદ પણ જોડશે.હાલમાં ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આક્રમક તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે સરકારે કરેલી કામગીરીની સાથે હિન્દુત્વ અને રામ મંદિરનો મુદ્દો ભાજપને કેટલો ફાયદો કરાવશે એ તો ચૂંટણીના પરિણામો જ જણાવશે.