રાજદ્રોહના ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર પ્રકારના કેસમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ અને તેના સાથીઓ વિરૂધ્ધ સેશન્સ કોર્ટ સમક્ષ ચાલી રહેલા આ કેસના ટ્રાયલમાં તેઓ વિરૂધ્ધની ચાર્જફ્રેમની પ્રક્રિયા અનિશ્ચિત મુદત સુધી મોકૂફ રાખવા માંગણી કરતી આરોપી દિનેશ બાંભણીયાની અરજી સેશન્સ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી છે. એડિશનલ સેશન્સ જજ એસ.એચ.ઓઝાએ આરોપી દિનેશ બાંભણીયા તરફથી આ કેસમાં બિનતહોમત છોડી મૂકવા દાદ માંગતી કરાયેલી અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટે કેસના ટ્રાયલમાં કોર્ટ સમક્ષ હાજર રહેવામાંથી મુકિત આપવાની આરોપીઓની માંગણી પણ ધરાર ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટના આજે આ ખૂબ જ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. રાજદ્રોહના ચકચારભર્યા કેસમાં હાર્દિક પટેલ અને સાથી આરોપીઓ દિનેશ પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલ વગેરે વિરૂધ્ધ સેશન્સ કોર્ટમાં ખૂબ જ મહત્વનો ટ્રાયલ ચાલી રહ્યો છે અને આરોપીઓ વિરૂધ્ધ ચાર્જફ્રેમ થવાનો છે તેવા તબક્કરે દિનેશ બાંભણીયા આરોપી દ્વારા કોર્ટ સમક્ષ અરજી કરી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આ સમગ્ર મામલે તપાસનીશ એજન્સી દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ રદ કરાવવા માટે આરોપીપક્ષ તરફથી સુપ્રીમકોર્ટમાં ઓલરેડી કવોશીંગ પિટિશન કરાયેલી છે અને તેની સુનાવણી ત્રણ જજોની બેંચ સમક્ષ પડતર છે ત્યારે જયુડીશીયલ ડિસીપ્લીનના ભાગરૂપે આ કોર્ટે ચાર્જફ્રેમની પ્રક્રિયા સુપ્રીમકોર્ટમાં મામલો નિર્ણિત ના થાય ત્યાં સુધી પડતી મૂકવી જોઇએ. વળી, આરોપીઓ કયાં ભાગી નાસી જાય તેમ નથી અને તેથી તેઓને કોર્ટ સમક્ષની રૂબરૂ હાજરીમાંથી કાયમી મુક્તિ આપવી જોઇએ. દરમ્યાન રાજય સરકાર તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર એચ.એમ.ધ્રુવ અને અમિત પટેલે મહત્વપૂર્ણ દલીલો કરતાં જણાવ્યું હતું કે, મેટર સુપ્રીમકોર્ટમાં પેન્ડીંગ છે અને સુપ્રીમકોર્ટે કોઇપણ પ્રકારનો સ્ટે નથી વળી, કાયદામાં કયાંય એવી કોઇ જોગવાઇ નથી કે, સુપ્રીમકોર્ટનો કોઇ સ્ટે ના હોય તે સંજોગોમાં પેન્ડીંગ મેટરને લઇ ચાર્જફ્રેમની પ્રક્રિયા અનિર્ણિત સમય માટે મોકૂફ રાખી શકાય . તેથી કોર્ટે ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરી ટ્રાયલની સુનાવણી આગળ ધપાવવી જોઇએ. જયાં સુધી આરોપી દિનેશ ભાંભણીયાની ડિસ્ચાર્જ અરજીની વાત છે તો, આરોપી વિરૂધ્ધ રાજદ્રોહ સહિતના ગંભીર ગુનામાં સંડોવણી છે. તેની વિરૂધ્ધ મજબૂત અને પ્રથમદર્શનીય પુરાવા છે. આરોપીઓના એકબીજાના મેળાપીપણામાં રાજદ્રોહ સહિતના ગુનાહિત કૃત્યને લઇ જાહેર સુલેહ શાંતિ હણાઇ હતી અને રાજયભરમાં તેના માઠા પરિણામો જોવા મળ્યા હતા. વળી, કેસની ગંભીરતા અને આરોપીઓ સામેના ગંભીર આરોપો જોતાં પણ તેઓને કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવામાંથી મુકિત આપી શકાય નહી, આવી મુક્તિ માંગવાનો આરોપીઓને અધિકાર નથી. તેથી કોર્ટે આરોપીની અરજી ફગાવી દેવી જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ઉપરોકત અરજી ફગાવી દીધી હતી.