ભારત સાથેના સરહદી વિવાદ વચ્ચે ચીને નેપાળમાં ૩૦ કરોડ ડોલરની રેલ પરિયોજના પર કામ શરૂ કરી દીધું છે. વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની ગણાતી આ રેલવે લાઈન લ્હાસાથી કાઠમંડુ સુધી જશે અને બાદમાં ભારત-નેપાળ સરહદ પાસે લુમ્બિની સાથે પણ તેને જોડવામાં આવશે. ચીનના મીડિયાએ રેલવે પ્રોજેક્ટના સર્વેની તસવીરો શેર કરી છે. તસવીરોમાં એક ટીમ કોરિડોર સાઈટનું નિરીક્ષણ કરતી જોવા મળી રહી છે.
આ સંજોગોમાં જ્યારે નેપાળ અને ભારત વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે, ચીન પોતાની પરિયોજનાઓ દ્વારા નેપાળમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યું છે. સોમવારે ચીને પાકિસ્તાન, નેપાળ અને અફઘાનિસ્તાન સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને કોરોના મહામારી અને બેલ્ટ એન્ડ રોડ પરિયોજના માટે સહયોગ વધારવા ચર્ચા કરી હતી.
ચીન-નેપાળ વચ્ચે ૨૦૦૮માં રેલવે લાઈનની યોજના બની હતી પરંતુ ત્યારથી તેમાં કોઈ મોટી પ્રગતિ નથી થઈ. જો કે નેપાળ-ભારતના વર્તમાન સરહદ વિવાદ વચ્ચે ચીને કોરિડોરનું કામ ઝડપી કરી દીધું છે. આ મહત્વાકાંક્ષી પરિયોજના માટે ૨૦૨૫ની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. વિવિધ ઘટનાક્રમ પર નજર નાખીએ તો ભારતીય સૂત્રોના કહેવા પ્રમાણે હજુ પરિયોજનાનું નિર્માણ કાર્ય શરૂ નથી થયું પરંતુ સર્વે શરૂ કરી દેવાયો છે.
ચીને ૨૦૦૮માં આ પરિયોજનાનો પાયો નાખ્યો હતો તથા રેલવે કોરિડોર દ્વારા લ્હાસાથી શિગાસ્તેને જોડવામાં આવશે અને પછી તેનો વિસ્તાર નેપાળ સરહદ પાસે કેરૂંગ સુધી કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. અંતિમ તબક્કામાં આ રેલવે લાઈનને કાઠમંડુ અને બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની સુધી લઈ જવામાં આવશે.