ગુજરાતના ગાંધિનગરમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા છે. ગાંધીનગરના પલીયડમા ધાર્મિક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. અને આ સમગ્ર કાર્યક્રમ યોજાઇ ગયા બાદ તંત્ર જાગ્યું હતું. પલિયડ ગામે યોજાયેલા પાટોત્સવ મહોત્વમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હજારો લોકોની હાજરીથી ગાંધીનગર પોલીસ દોડતી થઈ હતી.
સમગ્ર ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. કોરોનાની મહામારીને પગલે હોવાથી ધાર્મિક તથા અનેક કાર્યક્રમો પર રોક લગાવવામાં આવી છે. ત્યારે ગાંધીનગરના કલોલ તાલુકાના પલિયડ ગામે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી આવેલા લોકો પાટોત્સવમાં જોડાયા હતા. એટલું જ નહિ, હાથી અને ડીજે સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. યજ્ઞ અને મહાપ્રસાદમાં હજારો લોકો જોડાયા હતા.
ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા લોકો એક જ ગામમાં પાટોત્સવ માટે ભેગા થયા હતા. હજારોની જનસંખ્યા ઉમટ્યા બાદ તંત્ર જાગ્યું હતું. આ ઘટનાની DYSP અને પ્રાંત અધિકારીને તપાસ સોંપાઈ છે. જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. હવે સવાલ એ ઉઠ્યો છે કે, પોલીસ દ્વારા આવા કાર્યક્રમને મંજુરી કેવી રીતે અપાઈ. આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને પોલીસને ખ્યાલ પણ ન આવ્યો..