Aapnu Gujarat
બ્લોગ

અમેરિકા ઇરાન સંઘર્ષની ભારત પર અસર

અમેરિકાએ ઈરાનને એક ’સ્પષ્ટ અને સીધો’ જવાબ આપવા માટે મધ્યપૂર્વમાં પોતાનું એક યુદ્ધ વિમાનવાહક જહાજને તહેનાત કર્યું છે. બીજી તરફ અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ પૉમ્પિઓ ઈરાકની બિનઆયોજિત મુલાકાત પર જઈ રહ્યા છે.અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું કે ઈરાનના હેરાન કરનારા ઉશ્કેરણીજનક સંકેતો અને ચેતવણીઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય ટ્રમ્પ વહીવટીતંત્રએ કર્યો છે.
અમેરિકાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે મધ્યપૂર્વમાં રહેલાં અમેરિકાનાં સૈન્યનાં ઠેકાણાં પર હુમલો થવાની આશંકાઓને ધ્યાનમાં લઈને અમેરિકાએ આ નિર્ણય લીધો છે.જોન બોલ્ટને કહ્યું, કોઈ પણ પ્રકારના હુમલાનો જવાબ અમેરિકા તાકાતથી આપશે.
બોલ્ટને પોતાના એક નિવેદનમાં કહ્યું, અમેરિકા યૂએસએસ અબ્રાહમ લિંકન કરિયર સ્ટ્રાઇક ગ્રૂપ અને એક બૉમ્બર ટાસ્ક ફોર્સને અમેરિકાના ’સેન્ટ્રલ કમાન્ડ’ ક્ષેત્રમાં મોકલી રહ્યું છે.અમે આ ઈરાની વહીવટીતંત્રને એક સીધો અને સ્પષ્ટ જવાબ આપવા માટે કરી રહ્યા છીએ.સંદેશ એ છે કે જો અમેરિકા અથવા તેના સહયોગી પર કોઈ પ્રકારનો હુમલો થશે તો તેનો જબરદસ્ત જવાબ આપીશું.બોલ્ટને પોતાની આખી વાત મૂકતાં કહ્યું, ’અમેરિકા ઈરાનની સાથે યુદ્ધ નથી ઇચ્છતું. જોકે, અમે કોઈ પણ પ્રકારનો જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર છીએ. ઇસ્લામિક રૅવલ્યૂશનરી ગાડ્‌ર્સ હોય કે ઈરાનની સેના દ્વારા શરૂ કરાયેલું નકલી યુદ્ધ પણ કેમ ના હોય, અમે જવાબ આપીશું.આ પહેલાં અમેરિકા ઇરાનના એલીટ રૅવલ્યૂશનરી ગાર્ડને ’વિદેશી આતંકવાદી સંગઠન’ કહી ચૂક્યું છે.હાલમાં અમેરિકા દ્વારા ઈરાનની કાર્યવાહી વિશે લગાવાયેલાં આરોપોની કોઈ વિસ્તૃત જાણકારી નથી.અમને યોગ્ય રીતે ખબર નથી કે અમેરિકા તરફથી જાહેર કરવામાં આવેલી ચેતવણી અને યુદ્ધવિમાન વાહક જહાજને તહેનાત કરવા પાછળનું સાચું કારણ શું છે?જોકે, આ રીતે મધ્યપૂર્વના દેશમાં કોઈ ઍરક્રાફટ કરિયર અને તેની યુદ્ધ ટુકડીઓને મોકલે તે અસામાન્ય બાબત નથી.પરંતુ, આ ક્ષેત્રમાં જમીન અને હવામાં હુમલો કરી શકાય તેવાં હથિયારોને ફરીથી મોકલવા થોડી અસામાન્ય વાત છે.હાલના દિવસોમાં અમેરિકા ઈરાન પર દબાણ બનાવી રહ્યું છે. તે ઈરાન એલીટ રૅવલ્યૂશનરી ગાર્ડને ’વિદેશી આતંકવાદી સંગઠન’ કહેવાનું હોય કે પછી આ રીતે પ્રતિબંધ લગાવવાનો હોય.આ બધાં કારણો છત્તાં પણ ટ્રમ્પ ઍડમિનિસ્ટ્રેશન શું કરવા માંગે છે તે નક્કી નથી.
ટ્રમ્પના પ્રવક્તા ભાર દઈને કહે છે કે અમેરિકા ઈરાનની સાથે યુદ્ધ કરવા માંગતું નથી પરંતુ સાથે જ તે ઈરાનમાં સત્તા પરિવર્તન કરાવવાની પોતાની પ્રબળ ઇચ્છાને મુશ્કેલીથી છુપાવી શકે છે.અમેરિકાએ મધ્યપૂર્વમાં પોતાના યુદ્ધવિમાન વાહક જહાજ એવા સમયે મોકલ્યું છે જ્યારે તેના અને ઈરાનના સંબંધો પહેલાં કરતાં તણાવપૂર્ણ છે.આ પહેલાં અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ પોતાના યુરોપના પ્રવાસ સમયે પત્રકારોને કહ્યું હતું, અમે ઈરાન તરફ ઉશ્કેરણીજનક પગલાં જોયાં છે અને અમારી પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે તો તેનાં માટે તેમને જવાબદાર ગણીશું.પોમ્પિયોએ એ સ્પષ્ટ નહોતું કર્યું કે તેઓ ઈરાનના ક્યા પ્રકારનાં ઉશકેરણીજનક પગલાંની વાત કરે છે.એક તરફ જ્યાં અમેરિકા પોતાના સહયોગી દેશોને ઈરાન પાસેથી તેલ ન ખરીદવા માટે મજબૂર કરીને તેની અર્થવ્યવસ્થાને ધરાશાયી કરવા માંગે છે.સામે ઈરાનનું કહેવું છે કે તે કોઈ પણ હાલતમાં અમેરિકા સામે ઝૂકવાનું નથી.અમેરિકા ગત વર્ષે ઈરાન સહિત છ દેશોની વચ્ચે થયેલી પરમાણુ સંધિમાંથી બહાર થઈ ગયું છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ સમજૂતી રદ કરવા પાછળનું કારણ એ દર્શાવવામાં આવે છે કે તે ૨૦૧૫માં તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમય દરમિયાન થયેલી સંધિથી ખુશ ન હતા.આ સાથે જ અમેરિકાએ યમન અને સીરિયા યુદ્ધમાં ઈરાનની ભૂમિકાની આલોચના પણ કરી હતી.
ટ્રમ્પ વહીવટીતંત્રને આશા છે કે તે ઈરાન સરકારને આ નવી સંધિ કરવા માટે મજબૂર કરી દેશે અને આની અંદર ઈરાનને માત્ર પરમાણુ કાર્યક્રમ નહીં પરંતુ બૅલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ પણ હશે.અમેરિકાનું એ પણ કહેવું છે કે આનાથી મધ્યપૂર્વમાં ઈરાનનું ’અશિષ્ટ વર્તન’ પણ નિયંત્રિત થશે.જ્યારે, ઈરાને અમેરિકાનો પ્રતિબંધોને ગેરકાનૂની ગણાવ્યા છે.ઈરાની મીડિયા પ્રમાણે, અમેરિકાની ઘોષણાના જવાબમાં ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે કહ્યું કે, તેમની પાસે અમેરિકી પ્રતિબંધોનો જવાબ આપવા માટે અનેક વિકલ્પ છે.જવાદ ઝરીફે કહ્યું કે ઈરાન કેટલાય વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે અને તેમાં ’પરમાણુ અપ્રસાર સંધિ’માંથી બહાર થવાનો પણ સમાવેશ થાય છે.તેમણે કહ્યું કે જો ઈરાનને તેનું તેલ વેચવાથી રોકવામાં આવ્યું તો તેનાં ગંભીર પરિણામ આવશે.આ વચ્ચે ઈરાનના ઉચ્ચ જનરલે ચેતવણી આપી કે તે જો ઈરાનને વધારે અવરોધોનો સામનો કરવો પડશે તો તે સામૂહિક રીતે મહત્વપૂર્ણ હોરમુજ જળસંધિ માર્ગને બંધ કરી શકે છે.તેમણે કહ્યું, જો અમારાં તેલનાં વહાણો જળસંધિમાંથી ના જાય તો બાકીના દેશનાં તેલનાં વહાણો પણ જળસંધિ પાર કરી શકશે નહીં.ઈરાન પાસેથી તેલ ખરીદવા માટે ભારત સહિત આઠ દેશોને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી છૂટ વધુ નહીં લંબાવાય.અમેરિકાએ ભારત, ચીન, ઇટાલી, ગ્રીસ, જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન અને તુર્કીને ૧૮૦ દિવસ માટે ઈરાન પાસેથી તેલ ખરીદવાની છૂટ આપી હતી. તેની સમયમર્યાદા ૨જી મેએ પૂરી થાય છે.ઈરાન પાસેથી તેલ ખરીદવામાં ચીન પછી ભારત બીજા ક્રમે છે.અમેરિકાના આ પ્રતિબંધની ભારત ઉપર શું અસર થશે, તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.સોમવારે આ અંગેના સમાચાર આવતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઈલની કિંમત ૩.૩૩ ટકા વધી ગઈ.સાથે જ ભારતમાં શૅરબજારમાં સેનસેક્સ અને નિફ્ટીમાં ઝડપભેર ઘટાડો નોંધાયો હતો.
ક્રૂડઑઈલની કિંમત છેલ્લા છ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે અને સેન્સેક્સ ૪૯૫ પૉઇન્ટ ઘટ્યો હતો.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, અમેરિકન સરકારનો આ નિર્ણય સરકારના ધ્યાનમાં છે. અમે આ નિર્ણયની અસરનો સામનો કરવા માટે પૂર્ણ રીતે તૈયાર છીએ.અગાઉ પેટ્રોલિયમ મંત્રાલય આ અંગેનું નિવેદન આપી ચૂક્યું છે. સરકાર પોતાની ઊર્જા અને આર્થિક સુરક્ષા સાથે સંકળાયેલી બાબતોની રક્ષા માટે અમેરિકા સહિત પોતાના સહયોગી દેશો સાથે કામ કરતું રહેશે.પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ ટ્‌વીટ કરીને કહ્યું કે સરકાર ભારતીય રિફાઇનરીઓની ક્રૂડઑઈલની માગની આપૂર્તિ સુનિશ્ચિત કરવાની યોજના તૈયાર છે તથા અન્ય દેશો પાસેથી પેટ્રોલિયમ પેદાશોની માગ પૂરી કરવામાં આવશે.પરંતુ શું આ સમસ્યા માત્ર ક્રૂડઑઈલની માગ પૂરી કરવા પૂરતી જ મર્યાદિત છે?ભારત ગમે તેમ કરીને તેલની માગને તો પહોંચી વળશે, પરંતુ આને મોંઘવારી વધવાનો સંકેત કહી શકાય.સંજય જોશીના મતે, ઈરાનથી આવતા ક્રૂડઑઈલમાં ઘટાડો થશે, પરંતુ તેલની માગ તો ગમે તે રીતે પૂરી શકાય તેમ છે.એવું નથી કે ક્રૂડઑઈલની તંગી ઊભી થશે, પણ ક્રૂડઑઈલની કિંમતો વધશે અને રૂપિયાની કિંમત ઘટશે. એક મોટા દેશનું પ્રોડક્શન બજારમાં ઉપલબ્ધ ન બને તો કિંમતો વધી જાય છે.
જો તે ઉત્પાદન અન્ય દેશોમાંથી ભરપાઈ થઈ જાય, જેમ કે, સાઉદી અરેબિયા પોતાનું ઉત્પાદન વધારે તો કિંમત ફરી ઘટી જશે.”સંજય જોશી માને છે કે તેને ભારત અને ઈરાનના વ્યાપારી સંબંધો પર કોઈ ફરક નહીં પડે.તેઓ કહે છે, ભારત શરૂઆતથી જ માને છે કે અમેરિકાના નિયંત્રણો એકતરફી છે અને તેને સંયુક્ત રાષ્ટ્રની મંજૂરી નથી. ભારત શક્ય હશે ત્યાર સુધી વેપાર કરતું રહેશે.અમેરિકાના નિર્ણય બાદ ઈરાનને પૈસા ચૂકવવામાં મુશ્કેલી પડશે, કારણ કે બૅકિંગ સિસ્ટમ પર અમેરિકાનું નિયંત્રણ છે.બંને દેશો વચ્ચે વેપારના કેટલાક ઉત્પાદનોનો વ્યવહાર રૂપિયાથી કરે છે, પણ મોટા ભાગનો વેપાર ડૉલરમાં જ થાય છે.અર્થશાસ્ત્રનો સામાન્ય નિયમ એવું કહે છે કે, બંને દેશો વચ્ચેનો વેપાર સંતુલિત હોય તો જ તેઓ સમગ્ર વ્યવહાર રૂપિયામાં કરી શકે છે.એટલે કે, જેટલી કિંમતનો માલ ભારતમાં આવે છે, એટલી જ કિંમતનો માલ ઈરાન જતો હોય, પરંતુ એવું નથી.તેઓ કહે છે, ઈરાન ભારત માટે ભૂ-રાજકીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ દેશ છે. તેથી ભારત માટે ઈરાન સાથે સંબંધો જાળવી રાખવા જરૂરી છે અને ભારત જાળવી રાખશે.તેમાં ક્રૂડઑઈલની ભૂમિકા નાનકડી જ છે. બધાં જાણે છે કે ભારતે ત્યાં ઘણું રોકાણ કર્યું છે. ચીનની ચાઇના પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર સામે ભારતે ત્યાં ચાબહાર પોર્ટ વિકસાવ્યું છે.તેથી ભારત અને ઈરાનના સંબંધોમાં ખટાશ આવે એવું નથી જણાતું. તેથી વેપાર થતો રહેશે, પરંતુ તેમાં થોડી મુશ્કેલી ચોક્કસ આવશે.સંજય જોશી કહે છે કે અમેરિકાના તાજેતરના નિર્ણય બાદ ક્રૂડઑઈલની કિંમતમાં ઉછાળો આવી શકે છે, જે આવ્યો પણ છે. તેની અસર ચોક્કસથી પડશે.તેમના મતે, સૌથી પહેલાં રૂપિયાનું મૂલ્ય ઘટશે. તેની અસર તરત દેખાશે. જેમ-જેમ તેલની કિંમત ઘટે છે, તેમતેમ નાણાકીય ખાધ પણ વધે છે.જ્યારે ડૉલરની સરખામણીએ ભારતીય ચલણ એક રૂપિયો મજબૂત થાય છે, ત્યારે ભારતની નાણાકીય ખાધ સીધી રૂ. ૮૦૦ કરોડ વધી જાય છે.આ નિર્ણયથી આઠ દેશોને અસર પડશે, જેમાં જાપાન, દક્ષિણ કોરિયા જેવા અમેરિકાના મિત્રરાષ્ટ્રો પણ સામેલ છે.છેલ્લા કેટલાક અઠવાડિયાથી જાપાન અને દક્ષિણ કોરિયાએ ઈરાનમાંથી ક્રૂડઑઈલની આયાતને અટકાવી દીધી છે અથવા બહુ ઓછી કરી નાખી છે.પરંતુ અમેરિકાની સરકારના તાજેતરના નિર્ણયની અસર આ દેશોના પરસ્પરના સંબંધો ઉપર પણ પડી શકે છે.
બાર્બરાના મતે, ભારત માટે તો આ વધુ મોટી સમસ્યા છે, કારણ કે અમેરિકા ભારત ઉપર વેનેઝુએલાથી ક્રૂડઑઈલની આયાત ઘટાડવા દબાણ કરી રહ્યું છે.જોકે, ભારત અને ઈરાન વચ્ચે ઘનિષ્ટ સાંસ્કૃતિક-રાજકીય સંબંધો છે, તેથી ઈરાનને ઘેરવાની અમેરિકાની ઝુંબેશમાં જોડાવું મુશ્કેલ થશે.
મૂળ સમસ્યા કિંમત ચૂકવવાની છે, કારણ કે બૅકિંગ સિસ્ટમ ઉપર અમેરિકાનું નિયંત્રણ છે.આ સમસ્યા સાથે લડવા માટે યુરોપિયન સંઘે ’ઇનસ્ટેક્સ’ નામની સંસ્થા સ્થાપી હતી જે હેઠળ યુરોપિયન દેશો અને ઈરાન સીધી આર્થિક લેવડ-દેવડ પર આધારિત રહ્યા વિના વેપાર કરી શકતા હતા.ચીને પણ આવા કેટલાક પ્રયત્નો કર્યા છે. ચીન યુઆનમાં વેપાર કરતું આવ્યું છે અને ભારત પણ કેટલાક અંશે રૂપિયામાં વેપાર કરે છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ છે.બધી બૅંકિંગ ચૅનલ પર ડૉલરનું પ્રભુત્વ છે અને તેને તોડવાના પ્રયત્ન થઈ રહ્યા છે.પરંતુ ભારત સરકારની મુશ્કેલી એ છે કે ભારતમાં ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે તેણે આ મુશ્કેલ સમયનો પણ સામનો કરવાનો છે.

Related posts

રસ્તા પર કચરો ખાતી ગાયોનો ઉપાય ક્યારે..??

aapnugujarat

દુનિયાની ૨.૯૦ કરોડ મહિલાઓ આજે પણ આધુનિક ગુલામીની શિકાર

editor

રક્ષાબંધન : ભાઈની રક્ષા માટે બંધાતું પવિત્ર રક્ષા કવચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1