સોમવારે સત્તાધારી પક્ષ ભાજપે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો.દેશમાં હવે ધીરેધીરે કાળઝાળ ગરમીમાં પણ લોકસભા ચૂંટણી-૨૦૧૯નો માહોલ જામી રહ્યો છે. પહેલા વિપક્ષ કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ હવે રાષ્ટ્રીય જનતા દળે પણ પોતાનો ચૂંટણી ઘોષણાપત્ર જારી કર્યો છે. રાજદના ચૂંટણી ઘોષણાપત્રમાં દલિતો અને પછાતોને વસ્તી અનુસાર અનામત આપવાની જાહેરાત આપવામાં આવી છે, સાથે-સાથે કોંગ્રેસની ન્યૂનતમ આય યોજના (ન્યાય)ને પણ સમર્થન આપ્યું છે.રાજદના ચૂંટણી ઘોષણાપત્રની જાહેરાત કરતાં બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને રાજદના નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે રાજદ દલિતો અને પછાતોને તેમની વસ્તીના સપ્રમાણમાં અનામત આપશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે મંડલ આયોગની બાકીની ભલામણો પણ લાગુ કરવામાં આવશે.
રાજ્યસભાના સાંસદ મનોજ ઝા અને પ્રદેશ અધ્યક્ષ રામચંદ્રની હાજરીમાં રાજદના નેતા તેજસ્વી યાદવે સમાજવાદી નેતા રામમનોહર લોહિયાના વિચારોને યાદ કરતાં જણાવ્યું હતું કે રાજદનો ઉદ્દેશ હંમેશાં અંતિમ હરોળમાં રહેલા ગરીબોના ઉત્કર્ષનો રહ્યો છે. તેમણે કોંગ્રેસની ન્યાય યોજનાના પ્રોમિસને સમર્થન આપતાં જણાવ્યું હતું કે તેનાથી ગરીબો, પછાતો અને આદિવાસીઓનું કલ્યાણ થશે.તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે સત્તામાં ભાગીદારી થશે તો રાજદ પોતાનાં તમામ પોતાનાં વચનોનું પાલન કરશે. તેમણે એવું જણાવ્યું છે કે અમે લઘુમતી સમુદાયના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. રાજદ બઢતીમાં પણ અનામત આપવાની તરફેણમાં છે. રાજદ ૨૦૦ પોઈન્ટ રોસ્ટર સિસ્ટમને બંધારણીય માન્યતા આપશે.તેજસ્વી યાદવે વધુમાં જણાવ્યું હતું કે રાજદની સરકાર બનશે તો બિહારમાં તાડીને કાનૂની માન્યતા આપવામાં આવશે. રાજદ રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાર્યક્રમ હેઠળ સમગ્ર ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પ્રત્યેક રાજ્યના તાપમાન અનુસાર ઓછામાં ઓછા દિવસના ૧૫૦ ન્યૂનતમ વેતન પર રોજગાર મળશે. રાજદ સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામત આપવા માટે જરૂર પડે તો બંધારણમાં સુધારા કરશે.
આગળની પોસ્ટ