રિષભ પંત ચોક્કસપણે ‘ભવિષ્યનો સિતારો’ છે, પણ ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી નિશ્રિ્ચત નથી કે તે યુવાન વિકેટકીપર/બેટ્સમેન વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં સ્થાન મેળવી શકે છે કે નહીં. પંતની પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામે પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચની શ્રેણીમાં દિનેશ કાર્તિક પહેલા પસંદગી કરાઈ છે જે આગામી વર્લ્ડ કપ પૂર્વે ૫૦ ઓવરની મેચોનો ભારતનો છેલ્લો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે.
આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) વર્લ્ડ કપનું ઈંગ્લેન્ડમાં ૩૦મી મેથી આયોજન થનાર છે. ઈડન ગાર્ડન્સ ખાતે આપેલી મુલાકાતમાં ગાંગુલીને ખાતરી ન હતી કે ભારત વતી ફક્ત ત્રણ વન-ડે મેચમાં ભાગ લઈ ચૂકેલ પંત વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં પસંદગી પામવા કેવી રીતે યોગ્ય છે.
મને નથી લાગતું કે આ ઘડીએ પંતની ભારતની ટીમમાં પસંદગી થઈ શકશે, પણ તે ભવિષ્યનો એક ઘણો સારો ખેલાડી છે, એમ ગાંગુલીએ તે આશાસ્પદ ખેલાડી માટે કહ્યું હતું. પંત ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતમાં ત્રણ એક દિવસીય મેચમાં રમ્યો હતો.
પંતે ટેસ્ટ ક્રિકેટમાં સારો દેખાવ નોંધાવ્યો છે જેમાં તેણે ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયામાં સદીઓ ફટકારી હતી. છતાં, વન-ડે અને ટી-૨૦ ક્રિકેટમાં તે હજી પોતાનો પ્રભાવ પાડી શક્યો નથી.