ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું સનખડા ગામ. જે આજે પણ આધુનિક સુવિધાઓથી વંચીત છે. અહીં સરકાર દ્વારા મત તો માગવામાં આવે છે, પરંતુ ત્યાર બાદ અહીં કોઈપણ નેતા કે સરકારી બાબુઓ પાછુ ફળીને નથી જોતા. ગામની ફરતે બે નદી આવેલી છે. એક માલણ અને એક રાવલ, આ નદી પર ગામમાં જવા માટે કોઈ પુલ નથી. આ બન્ને નદી વરસાદની સિઝનમાં બન્ને કાંઠે વહે છે. ત્યારે આ ગ્રામજનોને બહાર આવવા જવાની ભારે હાલાકી પડે છે.
જેથી ગ્રામજનોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. સનખડાની માલણ નદીના સામા કાંઠે ૧૫૦૦ લોકો રહે છે. તો રાવલ નદીના સામા કાઠાની સીમમાં ૨૫૦૦ લોકો રહે છે, જ્યારે આ લોકોના બાળકોને શાળાએ જવા માટે સનખડા ગામમાં જવું પડે છે. જેના માટે બાળકોને જીવના જોખમે નદી પાર કરવી પડે છે અને પાણી વધારે હોય તો બાળકોને રજા પડે છે. જેથી શિક્ષણ પર માઠી અસર પડે છે.
તો ગ્રામજનોને ખેતી કામે જવા અને ડેરીમાં દૂધ ભરાવવા જવા માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોની માગ છે કે, સરકાર દ્વારા આ મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવે અને નદી પર પુલ બનાવવામાં આવે. ગ્રામજનોનું માનીએ તો લોકફાળો ઉઘરાવીને તેમણે નદીમાં પિલ્લર બનાવી દીધા છે. જોકે સરકાર તેના પર પુલ બનાવી દે તો ગ્રામજનોને ભારે રાહત મળી શકે છે. જોકે સરકાર અને ધારાસભ્યોને આંખ ક્યારે ખુલશે તે જોવું રહ્યું.
આગળની પોસ્ટ