શહેરના મધ્ય ઝોનના ખાડિયા વોર્ડમાં લાંબા સમયથી સ્થાનિક લોકો ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ, પોળમાં આડેધડ બનાવાતાં ગોડાઉન, સાંકડા રસ્તા પરના વેપારીઓના માલસામાનનાં દબાણ, સોના-ચાંદીની ભઠ્ઠીઓ ઉપરાંત ઊભરાતી ગટર અને અપૂરતા પાણી કે દૂષિત પાણીના પ્રશ્નથી પરેશાન થઈ રહ્યા છે.
એક સમયે ખાડિયા સમગ્ર શહેરનું હૃદય બનીને અનેક પ્રકારની સામાજિક-રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું, પરંતુ હવે ખાડિયા હાંસિયામાં ધકેલાયું છે. આ વિસ્તારના લોકોને પીવાના પાણી માટે પણ ઝઝૂમવું પડે છે. છેલ્લા છ મહિનામાં ચોથી વખત ખાડિયામાં પાણીનો કકળાટ સર્જાયો છે.
તાજેતરમાં થયેલી તેર કમિટીની રચનામાં ખાડિયા વોર્ડ સહિતના મધ્ય ઝોનના ભાજપના કોર્પોરેટરોને પક્ષના મોવડી મંડળ દ્વારા પૂરતું મહત્ત્વ અપાયું નથી અને તેમાં પણ શાહપુર વોર્ડનાં ફાલ્ગુનીબહેન શાહે તો મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટીના સભ્ય તરીકે રહેવાનો સાફ ઈનકાર કરતાં મ્યુનિસિપલ ભાજપના ટોચના પાંચેય હોદ્દેદાર મુંઝાયા છે. ચાંદલોડિયા વોર્ડનાં કુસુમબહેન જોષી બાદ તેમણે મોવડીમંડળ સામે બગાવત કરી હોઈ વિવાદ વકર્યો છે.
બીજી તરફ ખાડિયા વોર્ડના અન્ય પ્રશ્નની જેમ પાણીનો કકળાટ કાયમી બનવા છતાં શાસક પક્ષની ઉપેક્ષાના કારણે લોકોની હાલાકીમાં વધારો થતો જાય છે.
ખાડિયાના બાલા હનુમાન મંદિર, સાંઈબાબા મંદિર પાસેની કવિશ્વરની પોળ, સુરતીની પોળ, હિંગલોક જોષીની પોળમાં છેલ્લા ચાર-ચાર દિવસથી પાણીનું ટીપું પણ ન આવતાં ગૃહિણીઓ વિફરી હતી, જેના પગલે સ્થાનિક કોર્પોરેટરોમાં દોડધામ મચી ગઈ હતી.