ભારત વર્ષના આસ્થાકેન્દ્ર સોમનાથના સાનિધ્યે આજે સાગરદર્શન હોલમાં યોજાયેલ રોજગાર દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વમંત્રીશ્રી જશાભાઈ બારડે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે યુવાનોના કૌશલ્યવર્ધન સાથે રોજગારી આપવા રૂા.૨૭૧ કરોડની જોગવાઈ કરી છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાનાં એક હજાર યુવાનોને તાલીમબધ્ધ કરવામાં આવશે.
સાસંદશ્રી ચુનીભાઈ ગોહેલે, રાજ્ય બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના સખીમંડળની બહેનોને સી.આઇ.એફ., કેશ ક્રેડીટ તેમજ રીવોલ્વીંગ ફંડ પેટે રૂા. ૩૮ લાખનો ચેક પુનીતાબેન ઓઝાને મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયો હતો. ઉપરાંત આ તકે પી.જી.વી.સી.એલ સહિત વિવિધ એકમોમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ તાલીમાર્થીઓને નીમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં હાલ તાલાળાના વીરપુર ખાતે કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્ર શરૂ કરાયું છે. જેમાં રીટેઈલ વેચાણ અંગે ૨૨ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે પ્રત્યેક તાલીમાર્થી પાછળ રાજ્ય સરકાર દ્રારા રૂા.૩૮ હજારનો ખર્ચ કરવામાં આવે છે તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંજય મોદીએ જણાવ્યું હતું.
ઉધોગોમાં સ્થાનીક યુવાનોને રોજગારી મળે તે માટે રાજ્ય સરકાર, રોજગાર વિનિમય કચેરી, આઈ.ટી.આઈ તથા વિવિધ વિભાગોના સંકલન કરી સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવે છે પી.જી.વી.સી.એલમાં એપ્રેન્ટીસ તરીકે નીયુક્ત કચોટ ભાવીકે કહ્યું કે, અમને દર મહિને રૂા. આઠ હજાર સ્ટાઈપેન્ડ મળે છે અને રોજગારી પણ મળે છે જ્યારે જી.વી.મરીનમાં એપ્રેન્ટીસ તરીકે જોઈન્ટ થયેલા ધારેચા દાનાભાઈએ એપ્રેન્ટીસ થકી તાલીમ સાથે રોજગારી પણ મળે છે.
રોજગાર દિવસની ઉજવણીના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંજય મોદીએ સૌના સ્વાગત સાથે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આભારવિધી તાલુકા વિકાસ અધિકારી ઉનડકટે અને કાર્યક્રમનું સંચાલન હીરેન રાઠોડે કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારીશ્રી કાનપરીયા, મામલતદારશ્રી પ્રજાપતી, આઈ.ટી.આઈ.ના પ્રિન્સીપાલ ગૌસ્વામી, તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ અને યુવાનો મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ: ભાસ્કર વૈધ સોમનાથ