ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની ૨૩મી બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં યોજાઈ હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના પ્રધાનો અને અન્ય રાજ્યોના પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્ર, ગોવા, દમણ અને દિવ, દાદરાનગર હવેલી, કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજનાથસિંહે સંબોધન કર્યું હતું. રાજનાથસિંહે કહ્યું હતું કે, સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન એક્ટ ૧૯૫૬ હેઠળ ઝોનલ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. રાજ્યોની અંદર સહકારથી કામ કરવાની ભાવના વિકસિત કરવાના હેતુસર આની રચના કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સારા સંબંધ રહે તેનો પણ આનો હેતુ છે. ઝોનલ કાઉન્સિલ આર્થિક અને સામાજિક આયોજનના ક્ષેત્રમાં સામાન્ય લોકોના હિતના મામલાઓ ઉપર ભલામણ કરવા અને ચર્ચા કરવાની તક આપે છે. રાજનાથસિંહે પુનરોચ્ચાર કર્યો હતો કે, કેન્દ્ર સરકાર રાજ્યો સાથે ખુબ નજીકના સહકારથી કામ કરવાની વ્યવસ્થા વિકસિત કરવા કટિબદ્ધ છે. છેલ્લા ત્રણ વર્ષ અને તેનાથી વધુના ગાળામાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની ત્રણ સ્ટેન્ડિંગ કમિટિની બેઠકો અને બે કાઉન્સિલ બેઠક યોજાઈ ચુકી છે. આ કાઉન્સિલ બેઠકોમાં ૪૧ વસ્તુઓ ઉપર ચર્ચા થઇ છે. ૩૧ પ્રશ્નોને ઉકેલવામાં આવ્યા છે. આ ગાળા દરમિયાન અન્ય ઝોનની બેઠક પણ યોજાઈ છે જેમાં ૧૦ કાઉન્સિલ બેઠકો અને ૧૫ સ્ટેન્ડિંગ બેઠકોનો સમાવેશ થાય છે. આજની બેઠકમાં ૬૫૩ મુદ્દાઓ ઉપર ચર્ચા થઇ હતી. પોતાના સંબોધનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ઝોનલ કાઉન્સિલની બેઠકનું ફરી આયોજન કરવા બદલ રાજનાથસિંહનો આભાર માન્યો હતો. ખુબ જ સાનુકુળ વાતાવરણમાં ચર્ચા થઇ હતી. ગોવામાં આગામી બેઠક યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહસચિવ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજની બેઠકમાં ૧૧માંથી નવ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
એનડીએ સરકાર સત્તા પર આવ્યા બાદથી ૬૯૭માંથી ૩૯૦ મુદ્દા ઉકેલી લેવામાં આવ્યા છે. બંધારણીય સંસ્થાની ગરિમા જાળવવામાં આવે તે તમામની જવાબદારી બને છે. આજની બેઠકમાં રાજ્યમાં ઠલવાતા શરાબના પ્રશ્ને કોઇ ચર્ચા થઇ ન હતી. રાજનાથસિંહે કહ્યું હતું કે, ૨૦૧૯ની ચૂંટણીમાં ગુડગવર્નન્સ અને ડેવલપમેન્ટના મુદ્દાને રજૂ કરીને આગળ વધવામાં આવશે. આવનાર વર્ષોમાં ભારત એક માત્ર દેશ રહેશે જેનો જીડીપી બે આંકડામાં રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, જો કોઇ દોષિત દેશ છોડીને જાય છે તો તેની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. ફરાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ઝોનલ રાજ્યો વચ્ચે સંકલનની જરૂર : મુખ્યમંત્રી રૂપાણી
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં પાટનગર ગાંધીનગરમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સ્વાગત સંબોધનમાં મેરિટાઇમ સિક્યુરિટીના મુદ્દા ઉપર વેસ્ટર્ન ઝોનલ રાજ્યો વચ્ચે સંકલન અને સહકાર માટેની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ટેકનોલોજી પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, પોલીસ જવાનોને સ્માર્ટ ફોન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે જેમાં ગુનેગારોના રેકોર્ડ રાખવામાં આવી રહ્યા છે. પોલીસ ફોર્સમાં ૩૩ ટકા મહિલાઓની નિમણૂંક કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં અતિઆધુનિક ફોરેન્સિક યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વાગત કર્યું હતું.