જસ્ટિસ લોયાના મૃત્યુ કેસમાં સ્વતંત્ર તપાસની માંગણી ફગાવતા સુપ્રીમકોર્ટના મહત્વના ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, જસ્ટિસ લોયા કેસમાં સુપ્રીમકોર્ટના ચુકાદાથી આખરે સત્યનો વિજય થયો છે. સુપ્રીમકોર્ટના આ ચુકાદા સાથે જ સુપ્રીમકોર્ટના પ્રાંગણમાં રાજનીતિ કરવાના કોંગ્રેસના મલિન ઇરાદાનો પર્દાફાશ થયો છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રાજકીય કારકિર્દી ખતમ કરવાના કોંગ્રેસના કારસા ખુલ્લા પડી ગયા છે. મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ ૨૧ જેટલા રાજયોમાં જનસમર્થન મેળવ્યું છે ત્યારે લોકોના દિલમાંથી ફેંકાઇ ગયેલી કોંગ્રેસ અને તેના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જસ્ટિસ લોયાના મૃત્યુ મામલે ષડયંત્ર કરીને સુપ્રીમકોર્ટમાં પીઆઇએલ દાખલ કરાવી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ખોટી રીતે બદનામ કરવાનો કારસો રચ્યો હતો. પરંતુ સુપ્રીમકોર્ટના ચુકાદાથી સમગ્ર મામલો સ્પષ્ટ થઇ ગયો છે અને આખરે સત્યનો વિજય થયો છે. ભાજપની લોકપ્રિયતાથી ડરી ગયેલી કોંગ્રેસને હવે દેશમાં તે કયાંય બચશે નહી તેવી દહેશત લાગતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પોલીટિકલ કેરીયર પૂરી કરવાના મલિન ઇરાદે સુપ્રીમકોર્ટમાં રાજકીય લડતનું ષડયંત્ર રચ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ ગમે તેટલા ષડયંત્રો કરે અને ખોટી રાજનીતિ કરે પરંતુ ભાજપના સુશાસન અને વિકાસની રાજનીતિને જનતા જનાર્દનનું પ્રચંડ સમર્થન સદાય મળતુ રહેવાનું છે.