વડોદરાના ખુબ જ સંવેદનશીલ ગણાતા ફતેપુરા વિસ્તારમાં આજે નજીવી બાબતે બે જુથ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી જેના કારણે ટુંકાગાળામાં જ વિસ્ફોટક સ્થિતિ ઉભી થઇ ગઇ હતી. જૂથ અથડામણ થયા બાદ સામ સામે જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આમને સામને ટોળા આવી ગયા બાદ સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને ઘટનાસ્થળે પહોંચી જઇને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. મળેલી માહિતી મુજબ આજે રામનવમીના પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન કોઇ અસામાજિક તત્વોએ સ્થિતિને ખરાબ કરવાના પ્રયાસ કર્યા હોવાના અહેવાલ મળ્યા છે. જો કે, આ મામલામાં પોલીસ દ્વારા ઉંડી તપાસ હાથ ધરવામાં આવી ચુકી છે. મોડી સાંજે ફતેપુરા વિસ્તારમાં જૂથ અથડામણ થયા બાદ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
ફતેપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પુરતી સંખ્યામાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં ન આવતા આને લઇને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો કે, બનાવની જાણ થતાં તરત જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મોરચા સંભાળી લીધા હતા. બંને જૂથોના ટોળાને અલગ પાડવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. ૧૦થી વધુ ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. સ્થિતિ હજુ પણ વિસ્ફોટક બનેલી છે. વડોદરાના ફતેપુરા વિસ્તારને પહેલાથી જ સંવેદનશીલ ગણવામાં આવે છે. વિતેલા વર્ષોમાં પણ અહીં કોમી રમખાણોના બનાવો બનતા રહ્યા છે. ફરી એકવાર હિંસક અથડામણનો મામલો સપાટી પર આવતા પોલીસ તંત્ર સાવધાન થઇ ગયું છે. વધુ સુરક્ષા જવાનો પણ તૈનાત કરાયા છે. પેટ્રોલિંગ પણ તીવ્ર કરાયું છે.
આગળની પોસ્ટ